




રિપોર્ટ,મયુર પટેલ
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ યોજના અંતર્ગત મંજૂર થયેલા રૂ.૩.૧૧ કરોડના છ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં રૂ.૮૦ લાખના ખર્ચે વરજાખણ બસ સ્ટેશનથી ડુંગરી ફળિયાને જોડતા રસ્તા બનાવવાનું કામ, રૂ.૧૭ લાખના ખર્ચે પુના ગામમાં પંચાયત ઘર, રૂ.૧૭ લાખના ખર્ચે કોસાડી ગ્રામ પંચાયત ઘર, રૂ.૧૭ લાખના ખર્ચે નિર્મિત ઉનગામમાં પંચાયત ઘર, રૂ.૬૦ લાખના ખર્ચે ગોદાવાડી ગામે બસ સ્ટેશનથી કોસાડી જતા રસ્તાનું કામ, રૂ.૧૨૦ લાખના ખર્ચે ગોડસંબાથી ગોદાવાડી દેવ ફળિયા પ્રા.શાળાને જોડતા રસ્તાનું કામ મળી કુલ રૂ.૩.૧૧ કરોડના છ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામો દ્વારા માંડવીના નગરજનો માટે આગવી માળખાગત સુવિધાઓ ઉભી થનાર છે.
આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માંડવીના દરેક ગામોનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ કરી રમણીય બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેથી નાના મોટા વિકાસના કામોની સમીક્ષા કરી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત મુકી રહ્યો છું. રાજ્ય સરકાર નાનમાં નાના વ્યક્તિનો વિચાર કરીને એ દિશામાં કામ કરી રહી છે. ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું
રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકામો થઈ રહ્યાં હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ જનપ્રતિનિધિઓ અને ગામના સરપંચ અને પંચાયતના સભ્યોને લોકોના સતત સંપર્કમાં રહી તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વધુમાં વધુ વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાં અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સુરતના સભ્યશ્રી અનિલભાઈ ચૌધરી, માંડવી પ્રાંત અધિકારીશ્રી કૌશિકભાઈ જાદવ, માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી, માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, ગોદાવાડી ગામના સરપંચશ્રી સ્વાતિબેન પટેલ, તલાટી-કમ-મંત્રીશ્રી, ગ્રામ પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
