આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની વોટ્સએપ હેલ્પલાઇન નંબર સેવાની અનોખી પહેલ

૧૭મી સપ્ટેમ્બરના ૨૦૨૩ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિએ વોટ્સએપના માધ્યમથી નાગરિકોની અરજી અને ફરિયાદ નોંધાવવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નં.૮૧૭૧૮-૩૭૧૮૩ નો શુભારંભ કરી એક અનોખી પહેલ શરૂ કરી હતી. આ હેલ્પલાઈન થકી છેવાડાના નાગરિકો અને વિશેષત: આદિજાતિ નાગરિકોની વિવિધ વિભાગોની અરજી, ફરિયાદ અને પડતર પ્રશ્નોનું ઝડપી અને સચોટ નિરાકરણ થયું છે. આ હેલ્પલાઈનની સુવિધા સુરત, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લાના નાગરિકોને પ્રાપ્ત થઈ છે.
૧૦૦ દિવસના ટુંકા સમયગાળાના વોટ્સએપ હેલ્પલાઈન થકી કુલ ૧૨,૩૪૦ અરજીઓ નોંધાઈ હતી, જેમાં ૭,૩૫૪ અરજીઓનું સુઃખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. બિનજરૂરી ૩,૯૩૮ અરજીઓને દફતરે કરવામાં આવી છે, તેમજ ૧,૦૪૮ અરજીઓના સુઃખદ નિરાકરણ માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
પ્રજાજનોની અરજી અને ફરિયાદોનો ઝડપથી નિકાલ કરતી વોટ્સઅપ હેલ્પલાઈન સેવા વિશે વાત કરતાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને રાજ્યના મંત્રી તરીકે પદભાર સંભાળતા સતત પ્રજાના હિત માટે કામ કરવાની ઝંખના હતી. અંતરિયાળ વિસ્તારના છેવાડાના લોકોને પડતી મુશ્કેલીઓ, તેમના પ્રશ્નોના નિરાકરણ, માંગણીઓ અને પડતર પ્રશ્નોના સુખદ સમાધાન માટે સોશિયલ મીડિયાના ઉપયોગથી વોટ્સએપ હેલ્પલાઈન શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચારને અમલમાં લાવી ગત ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે માંડવી ખાતેથી સુરત, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લાની પ્રજાજનોની સેવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરની શરૂઆત કરી હતી, જેમાં ૧૫ જેટલા વિભાગોને જોડવામાં આવ્યા છે. વોટ્સએપ હેલ્પલાઈન થકી છેવાડાના લોકો ઘરબેઠા જેતે વિભાગને લગતી ફરિયાદ અને અરજી કરતા થયા છે, તેમજ પડતર પ્રશ્નોના પણ નિકાલ સરળતાથી અને ઝડપી થવા લાગ્યો છે. આ સેવા સામાન્ય વ્યક્તિઓના પ્રશ્નોને વાચા આપવાનું પ્લેટફોર્મ બની છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યના મંત્રી તરીકે પ્રજાની સેવા કરવાની મારી જવાબદારી અને ફરજ છે, તમામ લોકોને મળી શકાતું ન હોવાથી આ હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે, જેના થકી તમામ લોકોના સંપર્કમાં ૨૪ કલાક રહીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એમ જણાવી મંત્રીશ્રીએ વોટ્સએપ હેલ્પલાઈન નંબર ૮૧૭૧૮-૩૭૧૮૩ ઉપર નાગરિકો પોતાની અરજી અને ફરિયાદો કરવા માટે અપીલ કરી હતી.

આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની વોટ્સઅપ હેલ્પલાઈન સેવા થકી ડાંગની પીડિત દીકરીને મળ્યો ન્યાય: રાજ્ય સરકાર દ્વારા પીડિત દીકરીને રૂ.૫ લાખની સહાય અપાય

  ડાંગ જિલ્લાની ૧૪ વર્ષીય દીકરી પર ચાર નરાધમોએ દુષ્કૃત્ય કર્યું હતું. આ પીડીત દીકરીએ પોલીસ સ્ટેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી ન હતી. તેના પર થયેલા અત્યાચારથી તણાવમાં રહેતી હતી. ન્યાય મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી ન હતી, ત્યારે પીડિતાની વ્હારે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની વોટ્સઅપ હેલ્પલાઈન સેવા આવી હતી. પીડિતાના કાકાને મંત્રીશ્રી દ્વારા પ્રજાની સમસ્યા માટે શરૂ કરેલી વોટ્સએપ હેલ્પલાઈન સેવા વિશે જાણવા મળતા તેમણે વોટ્સએપમાં ફરિયાદ સહ રજૂઆત કરતા માત્ર એક જ દિવસમાં પોલીસ સ્ટેશન દ્વારા પીડિતાનું નિવેદન લઈ એફઆઈઆર કરવામાં આવી હતી, અને  ચાર નરાધમોને જેલ હવાલે કરાયા હતા, ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ પીડિત દીકરીને રૂ.૫ લાખની સહાય પણ અપાઈ હતી. આમ, આ હેલ્પલાઈન થકી ડાંગની પીડિત દીકરીને ન્યાય મળ્યો હતો.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM