સુરત જિલ્લામાં 52 દિવસ ચાલેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન

સમગ્ર સુરત જિલ્લામાં તા.15મી નવેમ્બર-2023થી આરંભાયેલી યાત્રાનું 5મી જાન્યુઆરીના રોજ ભવ્ય સમાપન થયું હતું. લગાતાર 52 દિવસ સુધી જિલ્લાની નવ તાલુકાઓની 566 ગ્રામ પંચાયતોમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી-માર્ગદર્શનની સાથે સંબંધિત યોજનાના સાચા લાભાર્થીઓને શોધીને તેને સરકારની યોજનાના લાભો સ્થળ ઉપર જ અપાયા હતા. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના સીધા માર્ગદર્શન ચાલેલી વિકાસ યાત્રામાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો તથા વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓએ ખભે ખભા મિલાવીને આ મહા અભિયાનને સફળ બનાવ્યું હતું.

આ યાત્રા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 79303 વ્યક્તિઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી છે, તેની સાથે જ 58865 ટી.બી. રોગ તથા 23648 સિકલસેલ એનિમીયા રોગની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આ સમય દરમિયાન ગામે ગામ લાભાર્થીઓના નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.

સંકલ્પ યાત્રા દરમિયાન યાત્રાના રથનું ગામે ગામ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ યોજાતા કાર્યક્રમોના માધ્યમથી જે લાભાર્થીઓએ અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો મળ્યા છે, તેવા 3154 લાભાર્થીઓએ તેમને સરકારી સહાય દ્વારા થયેલ લાભ અંગે “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં જિલ્લાના ખેડૂતોને ખેતીમાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ કેવી રીતે કરી શકાય તે અંગેનું 566 ગામોમાં ડ્રોન નિદર્શન કરાયું હતું. જિલ્લામાં 521 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ અન્ય ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે તમામ ગામોમાં ધરતી કરે પુકાર નાટકની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, 53 ગામોને સ્વચ્છતા બદલ અભિનંદનપત્રો પાઠવ્યા હતા. જયારે પી.એમ. ઉજ્જવલા યોજના હેઠળ 4047 નાગરિકોએ ગેસ કનેક્શન મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું  હતું. સુરક્ષા વીમા યોજનાનો 6650 ખેડૂતો તથા 3595 જેટલા ગ્રામજનોએ જીવન જયોત વીમા યોજનાનો લાભ મેળવ્યો હતો. જિલ્લાના 559 ગામોના જમીન રેકર્ડનું 100 ટકા ડિઝીટલાઇઝેશન કરાયું છે.

આમ, સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો ગામે ગામ ફરીને 52 દિવસ સુધી ફરીને સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને ગ્રામ પંચાયત ખાતે ઘરઆંગણે જ આપવામાં આવ્યા હતા. યાત્રામાં 268653  ગ્રામજનોએ સંકલ્પ પત્રનુ વાંચન કરીને ભારત દેશને 2047માં વિકસિત ભારત બનાવવા માટે સંકલ્પ લીધો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM