
વિકસિત ભારત યાત્રા યોજનાકીય લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બન્યું છેઃ- આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ રાજયના આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લઇ રહયા છે.

કલ્યાણકારી યોજનાઓ સાથે આવેલા રથને વધાવવા રાનવેરીખુર્દ ગામે જનમેદની ઉમટી પડી હતી. વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે. આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લાખો આદિવાસી બંધુઓ લઈ રહ્યા છે, સરકાર દ્વારા આદિવાસી દિકરા-દિકરીઓને વિદેશ અભ્યાસ માટે લોન સહાય, ડોકટર બનવા માટે નાણાકીય સહાય, પાયલોટ બનવા માટે ૪ ટકાના નજીવા વ્યાજ દરે લોન સહાય આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા સરકાર કટિબધ્ધ છે. વિકસિત ભારત યાત્રા યોજનાકીય લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બન્યું છે. આયુષ્માન કાર્ડ થકી ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવી છે. મંત્રીશ્રીએ છેવાડાના ગરીબ, મધ્યમવર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ હોવાનો મત વ્યક્ત કરી સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મુખ્ય બે હેતુ છે. એક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની માહિતી લોકોને મળે છે. પોતપોતાના હકની જાણકારી પ્રાપ્ત થાય છે નાગરિક જાગૃત બને છે. અને બીજો હેતુ એ છે કે જાણકારી મળવાથી લાભાર્થીઓ સો ટકા યોજનાથી લાભાન્વિત થાય છે.

યાત્રા દરમિયાન માન.પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના લાભાર્થીઓ સાથેના સીધા સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભાવો સહિત ગ્રામજનોએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા અલગ અલગ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતાં. સાથે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત માટે શપથ લઈ સંકલ્પબદ્ધ થયા હતા.

આ પ્રસંગે વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, વાંસદા પ્રયોજના અધિકારી શ્રી સુરેશ આનન્દુ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદ પટેલ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેષભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચેતનભાઈ દેસાઈ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
