




‘ડાંગ દરબાર’ ના પડઘમ વાગે છે આજથી આહવાના આંગણે યોજાશે ડાંગની આન,બાન અને શાન સમો ‘ડાંગ દરબાર’
ડાંગની ઐતિહાસિક અને ભાતિગળ લોક પરંપરાને ઉજાગર કરતો ડાંગ દરબારનો મેળો તા.૨૦ થી ૨૪ માર્ચ દરમિયાન યોજાશે :
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા : તા:૧૯ : ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને ભાતિગળ લોક પરંપરાને ઉજાગર કરતા ‘ડાંગ દરબાર’ ના પડઘમ વાગી ચૂક્યા છે. આજથી એટલે કે, તા.૨૦મી માર્ચથી તા.૨૪મી માર્ચ, ૨૦૨૪ દરમ્યાન, ડાંગ જિલ્લાની આન, બાન, અને શાન સમા ‘ડાંગ દરબાર’નો ભાતિગળ લોકમેળો, આહવાના આંગણે યોજાઇ રહ્યો છે. આગામી લોક્સભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે અમલી આદર્શ આચાર સંહિતા વચ્ચે યોજાઇ રહેલા ડાંગ દરબારનું ઉદ્ઘાટન, તા.૨૦મી માર્ચના રોજ ૧૧:૦૦ વાગ્યે આહવાના રંગ ઉપવન ખાતે થશે. તે અગાઉ ડાંગના રાજવીશ્રીઓની શોભાયાત્રા પણ સવારે ૯:૩૦ વાગ્યે ક્લેક્ટર કચેરી-આહવાથી નીકળી કાર્યક્રમ સ્થળે પોહચશે. જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરી, પરંપરાગત રીતે તેમનું સન્માન કરાશે.
ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ તા.૨૦ થી ૨૪ માર્ચ દરમિયાન દરરોજ સાંજે ૭:૦૦ વાગ્યેથી આહવાના રંગ ઉપવનના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાવાસીઓને માણવા મળશે.
