
ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ (ઈ -રેડીએશન પ્લાન્ટ) દ્વારા ચાલુ વર્ષે ૨ લાખ ૩ હજાર કિલો કેરીનું ઈ- રેડીએશન કરીને તેની વિદેશમાં નિકાસ થઈ : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

અમદાવાદના બાવળા ખાતે આવેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ (ઈ- રેડીએશન પ્લાન્ટ)ની કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી.એચ. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં ૨૦ કરોડના ખર્ચે ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. આ ઈ -રેડિયેશન પ્લાન્ટને કારણે ગુજરાતના ફળો, ડુંગળી અને મસાલાની વિદેશોમાં નિકાસ ઝડપથી થઈ રહી છે. એટલું જ નહિ આ ઈ – રેડિયેડશન થવાને કારણે ફળો અને શાકભાજીનું આયુષ્ય વધે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ચાલું વર્ષે અત્યાર સુધીમાં ૨ લાખ ૩ હજાર કિલો કેરીની ઈ- રેડિયેશન પ્રોસેસ હાથ ધરીને નિકાસ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં કચ્છની કેરીનું પણ ઈ – રેડિયેડશન કરીને તેની નિકાસ કરવામાં આવશે.
અત્રે ઉલ્લખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર-એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસ (USDA-APHIS) દ્વારા મંજૂરી મળતાં આ યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટિફાઇડ ઈ-રેડિયેશન યુનિટ બન્યું છે. ગુજરાતનું આવું સૌપ્રથમ સરકારી યુનિટ છે.
