
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. મંત્રી શ્રી રાજપૂતે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં બિનખેતી-NA માટે કુલ ૯,૬૩૨ અરજીઓ આવી હતી જે પૈકી ગાંધીનગર તાલુકાની ૨,૩૩૪, દહેગામ તાલુકાની ૩૪૪, કલોલની ૧,૧૫૯ તેમજ માણસા તાલુકામાં ૨૭૮ એમ કુલ ૪,૧૧૫ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ સિવાયની અરજીઓ પૂરતા પ્રમાણમાં જરૂરી પુરાવા-કાગળો ન હોવાથી દફતરે કરવામાં આવી છે તેમ, મંત્રી શ્રી રાજપૂતે ઉમેર્યું હતું.
