
જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉમંગ-ઉત્સાહ સાથે નાગરિકો જોડાયા
: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ :
- કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે
- તાજેતરમાં જ ૨૦૦૦ નવા વેન્ટિલેટરની ખરીદી, ૩૦૦૦ નર્સોની ભરતી કરવામાં આવી
- રાજ્યમાં પોણા ચાર કરોડ લોકોએ વિનામૂલ્યે વેક્સિન લઇને સુરક્ષિત બન્યાં છે
- રોજનાં ત્રણ લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ રહી છે
- રાજ્ય સરકારે કરોડો રૂપીયાના અનાજની ખરીદી કરી ખેડૂતોના હિતને સવોચ્ચ પ્રાથમિકતા આપી
- રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ કાયદાઓ લાવી રાજ્યને સુરક્ષા-સલામતી-શાંતિ તરફ અગ્રેસર કર્યું
દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પંચમહાલ જિલ્લાનાં વડામથક ગોધરાનાં પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં જોમ-ઉમંગ સહિત રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ત્રિરંગાને ફરકાવી સગર્વ સલામી આપી હતી.
જિલ્લા કક્ષાની ઉજવણીમાં સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે. અત્યારે રાજ્યમાં સરકારી હોસ્પીટલો સહિત અનેક જગ્યાએ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી ૪૦૦ મેટ્રીક ટન નવા ઓક્સિજન માટેની ક્ષમતા પ્રાપ્ત કરી છે.આ ઉપરાંત ૨૦૦૦ નવા વેન્ટિલેટરની પણ ખરીદી તાજેતરમાં કરવામાં આવી છે. તેનો જથ્થો આવવાની પણ શરૂઆત થઇ ગઇ છે. જેનાથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત વધુ સજ્જ થયું છે.
તેમણે ઉમેર્યું કે, કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરી શકાય એ માટે રાજ્ય સરકાર દ્વારા નવા મેડીકલ સ્ટાફની પણ મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે. હમણાં જ ૩૦૦૦ નર્સોની ભરતી કરવામાં આવી છે અને તેઓ હાજર પણ થઇ ગયાં છે. કોરોનાનો અસરકારક સામનો કરવા, વધુને વધુ સજ્જ થવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
તેમણે જણાવ્યું કે, કોરોના સામે વેક્સિન એ અમોઘ હથિયાર છે ત્યારે રાજ્યમાં પોણા ચાર કરોડ લોકો વેક્સિન લઇ ચૂક્યા છે અને જલ્દી જ આ આંકડો ચાર કરોડે પહોંચશે. રાજ્ય સરકાર કોરોના સામે લોકોને સુરક્ષિત કરવા પ્રતિબદ્ધ છે ત્યારે રોજનાં ૩ થી ૬ લાખ લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોના સામે મેડીકલ સ્ટાફ, હોસ્પીટલોમાં પથારીઓ, વેન્ટીલેટર સહિતનાં સાધનો, ઓક્સિજન એમ તમામ મોરચે સજ્જ છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગુજરાતની જનતાને હમેશા પડખે રહી છે. ઓક્સિજનથી લઇને કોઇ પણ પ્રકારની જરૂરિયાત માટે તુરત જ મદદ પહોંચતી કરી છે. રાજ્ય સરકારે પણ કોરોનાકાળમાં દિવસરાત એક કર્યા હતા અને તેમાં વ્યાપક જનસહયોગ પણ સાંપડયો હતો ત્યારે અત્યારે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા આંગણીના વેઢે ગણાય એટલી રહી ગઇ છે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના કરોડોરૂ.ના અનાજની ખરીદી કરીને ખેડૂતોના હિતોને સવોચ્ચ પ્રાથમિકતા આપી છે. મા નર્મદાના પાણી ગુજરાતની ૪ કરોડની જનતા સુધી પહોંચ્યા છે ત્યારે આ વર્ષે વરસાદ ખેચાવાની સ્થિતિમાં પણ ખેડૂતો માટે સિંચાઇના પાણી આપવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોની કરોડો હેક્ટરની જમીનને નર્મદાના નીરથી સિંચાઇનું પાણી મળ્યું છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં યશસ્વી નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય, પાણી-સિંચાઇ, માળખાગત સુવિધાઓ એમ દરેક ક્ષેત્રે પ્રગતિના નવા સોપાનો સર કર્યા છે અને ગુજરાતને ઉત્તમથી સર્વોતમ તરફ લઇ જઇ રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો થકી રાજ્યને સુરક્ષા-સલામતી-શાંતિ તરફ અગ્રેસર કર્યું છે. ભોળી-માસુમ દિકરીઓના છેતરપીડીંથી ધર્માતરણ રોકવા લવજેહાદનો કાયદો, ગુંડાગુરીથી મુક્ત કરવા ગુંડાધારો, લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા મહત્વના કાયદાઓ રાજ્ય સરકારે લાગુ કરીને રાજ્યની સુરક્ષા-સલામતીને નવો આયામ આપ્યો છે.
કોરોનાકાળમાં પ્રધાનમંત્રીની દીર્ધદષ્ટ્રિપૂર્ણ નેતૃત્વ વિશે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં સમૃદ્ધ અને ટેકનોલોજીમાં આગળ પડતાં દેશો પણ ઘુંટણીયે પડી ગયા હતા ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકડાઉન અને અનલોકના તબક્કાઓમાં સચોટ નિર્ણયો થકી દેશની પ્રગતિને વેગવાન રાખી.
તેમણે ઉમેર્યું કે, વિશ્વમાં કોઇ દેશના નેતાએ ન કર્યા હોય તેવા ઐતિહાસિક નિર્ણયો થકી પ્રધાનમંત્રીશ્રીએ જનહિતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. તેમણે કોરોનાકાળમાં ગરીબ લોકોને વિનામૂલ્યે અનાજ આપવાનો નિર્ણય લીધો હતો અને તાજેતરમાં પણ દેશના કરોડો લોકોને દિવાળી સુધી વિનામૂલ્યે પાંચ કિલો અનાજ આપવાનો નિર્ણય લીધો છે. દેશમાં સૌ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિનનો ઐતિહાસિક નિર્ણય થકી નાગરિકોને કોરોના સામે સુરક્ષા બક્ષી છે. દેશમાં કોઇ પણ જાતિ-ધર્મ કે રાજ્યના ભેદભાવ વિના સૌને વિકાસની સમાન તક અને લાભ પ્રધાનમંત્રીશ્રીએ ઉપલબ્ધ
કરાવ્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આઝાદીના લડવૈયાઓ, અનેક નામી અનામી શહીદ નરબંકાઓને યાદ કરતાં જણાવ્યું કે, નવી પેઢીએ અંગ્રેજો સામેની આઝાદીની લડતથી વાકેફ થવું જોઇએ. આ આઝાદી આપણે અનેક લોકોની શહીદી થકી મળી છે. આઝાદી વખતે વિભાજનની ભયંકર પરિસ્થિતિ અને લોકોની થયેલી ખુવારીને ન ભૂલવી જોઇએ. અંગ્રેજોએ ભાગલાવાદી નીતિ અપનાવી હતી. આપણે એ વાત યાદ રાખીને જાતિ-ધર્મ-પ્રદેશ દરેકથી ઉપર રાષ્ટ્રને ગણવું જોઇએ અને એ વાત હંમેશા યાદ રાખવી જોઇએ કે જે લોકો પોતાના ઇતિહાસને ભૂલી જાય છે તે રાષ્ટ્રનો નાશ થાય છે.
તેમણે ઉમેર્યું કે, આપણો દેશ માનવતા ધર્મને સવોચ્ચ ગણે છે. આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકંમની ભાવનાથી સિંચિત છે ત્યારે આઝાદીના ૭૫માં વર્ષે દુનયાના સૌથી મોટા લોકશાહી દેશના અમૃત મહોત્સવ આખા દેશમાં કોરોનાની સાવચેતી સાથે ભવ્ય ઉજવણી કરવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગ્ય નિર્ણય લીધો છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ શિસ્તબદ્ધ ઉભેલા પોલીસ જવાનોએ હવામાં ગોળીબાર કરીને હર્ષધ્વનિ કર્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રગાનની ધુન વગાડવામાં આવી હતી. જયારે ઉપસ્થિત નાગરિકો રાષ્ટ્રગાનનાં સન્માનમાં ગૌરવભેર ઉભા રહ્યાં હતા.
૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પશંસનીય કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ-જવાનો તેમજ કોરોના વોરિર્યસનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું. આ ઉપરાંત કલેક્ટર શ્રીને જિલ્લાના વિકાસકાર્યો માટે રૂ. ૨૫ લાખનો ચેક પણ અર્પણ કર્યો હતો.
આ વેળા જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર, સુશ્રી સુમનબેન ચૌહાણ, ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી, ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ, પૂર્વ સાંસદ શ્રી પ્રભાતસિંહ, શ્રી ગોપાલસિંહ, રેન્જ આઇજી શ્રી એન.એસ. ભરાડા, પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મહિપાલસિંહ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.


