જામખંભાળીયા ખાતે ગૃહમંત્રી જાડેજાના હસ્તે મહારાણા પ્રતાપની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું

સંસદસભ્ય પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં મહારાણા પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ યોજાયો

જામનગર ( ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર – ખંભાળીયા હાઈવે ખાતે ખંભાળીયા શહેરના પ્રવેશ પથ પર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખંભાળીયા નગરપાલીકા દ્વારા રૂપિયા ૧૭.૨૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા મહારાણા પ્રતાપની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ખંભાળીયા નગરપાલીકા ટાઉનહોલ ખાતે મંત્રીના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં મહારાણા પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ પ્રસંગે ગૃહમંત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપનો ઈતિહાસ આજે પણ યાદ કરાય છે, ગૌરવ થાય તેવા આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરી હું ધન્યતા અનુભવુ છું. મહારાણા પ્રતાપએ સ્વાભિમાની વ્યક્તિત્વ હતું અને આવા વ્યક્તિત્વની પૂજા કરવી એ આપણું કર્તવ્ય છે. વધુમાં તેમણે ઈતિહાસની ચિંતા ન કરે, ગૌરવ ન લે ત્યાનું ભૂગોળ હંમેશા બદલાઈ જાય છે, ભારત હંમેશા સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદના અક્ષાંશ પર ચાલતો દેશ છે. પ્રજાનું રક્ષણ કરવું એ શાસકનું કર્તવ્ય છે, રાજ્ય સરકાર હંમેશા પ્રજાના પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યશીલ છે, જેના પરિણામે આજે ગુજરાતમાં શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહી છે તેમ પણ જણાવ્યું હતું.
આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક યુ.જે.બરાળના માર્ગદર્શન હેઠળ અહેવાલ બનાવતા એચ.એ. ગોજીયાં અને ફોટોગ્રાફર જીજ્ઞેશ ગોજીયાંએ વધુમા ઉમેર્યુ છે કે
સંસદસભ્ય પૂનમબેન માડમે ભાવી પેઢીએ મહારાણા પ્રતાપની પ્રતિમા જોઈને આપણા ગૌરવવંતા ઈતિહાસથી પરિચિત બનશે તેમ જણાવ્યું હતું. આ પ્રતિમાંના માધ્યમથી ભાવી પેઢીને સાહસ અને આદર્શવાદી બનવાની પ્રેરણા મળશે તેમ ઉમેરી ખંભાળીયા નગરજનોને મહારાણા પ્રતાપની પ્રતિમા અનાવરણ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજીબેન મોરી, જિલ્લા કલેક્ટરશ્રી એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી કે.એમ.જાની, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, શહેર ભાજપ પ્રમુખશ્રી અનિલભાઈ તંન્ના, જિલ્લા ભાજપ મહામંત્રી સર્વશ્રી શૈલેષભાઈ કણઝારીયા, મયુરભાઈ ગઢવી અને યુવરાજસિંહ વાઢેર તથા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રામદેવભાઈ કરમુર સહિત અગ્રણી સર્વશ્રી હરીભાઈ નકુમ, વી.ડી.મોરી, સી.આર.જાડેજા, વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા તેમ જીજ્ઞેશભાઇ ગોજીયાએ જણાવ્યુ છે

