રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત ૩૦મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ યોજાયો

જામનગર:  જામનગર જિલ્લામાં ભારતના સૌથી મોટા યુધ્ધો પૈકીનું એક ઐતિહાસિક યુદ્ધ ભૂચરમોરી યુધ્ધભૂમિ પર ખેલાયું હતું. તે મેદાનને અને તેના શહીદોની શહાદતને શ્રધ્ધાંજલી આપવા તથા ક્ષત્રિયોના આશરા ધર્મની મહાન ગાથાને યાદ કરાવતા ભુચરમોરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલી સમારોહ યોજાયો હતો જેમાં પ્રથમ ધ્રોલ શહેરમાં ધ્રોલ ઠાકોર સાહેબશ્રી ચંદ્રસિંહજી જાડેજાની પ્રતિમાને અને બાદ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને વંદન કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત ૩૦માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસની શીતળા સાતમના રોજ ધ્રોલ તાલુકા  ખાતે ભૂચરમોરી યુધ્ધ મેદાનમાં યોજવામાં આવ્યો હતું. હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ને અનુલક્ષીને ચાલૂ વર્ષે આ શ્રધ્ધાંજલિ સમારોહને કોવિડ માર્ગદર્શિકા અનુસાર ઉજવવામાં આવેલ. ભૂચરમોરી યુધ્ધ રાજગાદી લેવા નહિ પરંતુ આશરા ધર્મ માટે યોજાયુ હતું તેમ જણાવતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યું કે, છેલ્લા ૩૦ વર્ષથી આ શહિદ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવા અને સમાજને સંગઠીત કરવા માટે અથાગ પ્રયત્નો કરતાં ડો. જયેન્દ્રસિંહ જાડેજાને અભિનંદન પાઠવેલ હતા. સંસ્કાર અને શિક્ષણના સમન્વય થકી સમાજ દેશના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપે એ પણ આજનો ખરો ક્ષાત્રધર્મ જ કહેવાશે તેમ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ હતું.

તો બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારના ધારાસભ્યશ્રીકિર્તીસિંહ વાઘેલાએ શરણે આવેલાનું રક્ષણ કરવાના ક્ષાત્ર ધર્મ ખાતર જાન ન્યોછાવર કરનાર જામ અજાજીને વંદન કરી જણાવ્યું હતું કે, સમાજના દરેક ક્ષેત્ર, દરેક જ્ઞાતિના સર્વે લોકોનો ઉત્કૃષ્ટ વિકાસ થાય તે માટે હું પ્રભુને પ્રાર્થનાશીલ અને કર્મબધ્ધ છું. આ સાથે જ સમાજ વ્યસન મુક્ત બને, પરસ્પર સહકાર થકી સત્કાર્યો કરે અને બાળકોને વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ અપાવે તેવી મહેચ્છા પ્રગટ કરી હતી. આ તકે રાજપુત સમાજના આગેવાનશ્રી ડો. જયેન્દ્રસિંહ જાડેજા અને શ્રી રાજભા જાડેજાએ ભૂચરમોરી ખાતે યોજાયેલ યુધ્ધનો ઇતિહાસથી ઉપસ્થિત સૌને માહિતગાર કરેલ હતા.

આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રમાં યોગદાન કરનાર અગ્રણીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજા, ધ્રોલ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને સમાજના વિવિધ કાર્યકર્તા જૂથોને ઉપસ્થિત મંત્રીશ્રી તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. 

આ પ્રસંગે ધ્રોલ રાજપુત સમાજના આગેવાનો પી.એસ.જાડેજા, પી.ટી.જાડેજા, વિસુભા ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, રામુસિંહજી ભદોરિયા, પ્રવિણસિંહ વાઘેલા, પ્રદ્યુમનસિંહ જાડેજા જાડેજા, દશરથબા પરમાર, જયશ્રીબા, શારદાબા, સી.આર. જાડેજા, ધર્મેંદ્રસિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, પથુભા તથા રાજપૂત સમાજના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM