પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ચોથો દિવસ
પર્યુષણ પર્વના આજના ચોથા દિવસે પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથનું શ્રવણ શરૂ થશે શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્ર ગ્રંથની રચના કરી છે.તેઓના સમયમાં બાર વર્ષનો દુકાળ પડ્યો સાધુઓને પણ અન્ન પાણીના ફાંફાં પડવા લાગ્યા.તે વખતે શાસ્ત્રોને કંઠસ્થ રાખવાની પરંપરા હતી.ધોર દુકાળના કારણે ઘણા સાધુઓ કાળધર્મ પામ્યા.ઘણાની સ્મૃતિ શક્તિ મંદ પડી તેવા સમયે શાસ્ત્રજ્ઞાન ને સાચવી લેવા ભદ્રબાહુ સ્વામીએ નેપાળમાં પાંચસો સાધુને એકત્રિત કરીને શાસ્ત્રની વાચના આપી વિનય વિજયજી મહારાજે રચેલી કલ્પસૂત્ર ગ્રંથ પરની સુબોધિકા નામની ટીકાના આધારે ગ્રંથ શ્રવણ થાય છે.જૈન પરંપરા અનુસાર સાધુ-સાધ્વીજી ભગવંતો જ આ મહાન ગ્રંથના શ્રવણ માટે અધિકારી હતા.પરંતુ પ્રભુ મહાવીરના નિર્વાણ થી શોકમાં એંશી વર્ષના અંતરે આનંદપુર નગરે પુત્રના મૃત્યુના આઘાત થી શોકમાં ગરકાવ થઈ ગયેલા ધ્રુવસેન રાજાના શોખ ના નિવારણ અર્થે કલ્પસૂત્રનું શ્રવણ શ્રાવક-શ્રાવિકાઓ માટે શરૂ થયું.કલ્પ એટલે આચાર અને તેને વર્ણવતુ સૂત્ર એટલે કલ્પસૂત્ર તેમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના આચારો તેમજ ચોવીસ તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્રો વર્ણવવામાં આવે છે.પ્રભુ મહાવીર સ્વામીની જીવન કથા વિશેષ વિસ્તારથી વર્ણવી છે.આ ઉપરાંત પ્રભુ મહાવીરની પાટ-પરંપરામાં થયેલા સુધર્મસ્વામી આદિ પ્રભાવક મહાપુરુષોના જીવનચરિત્રો આલેખવામાં આવે છે. જૈન ધર્મના તમામ પાસાઓ કલ્પસૂત્ર ના માધ્યમે શ્રોતાઓ સુધી પહોંચે છે.આ જ્ઞાનની એવી ગંગા છે કે જેમાં સ્નાન કરીને આત્મા પવિત્ર બને છે.જે શ્રવણ કરે છે તે શ્રાવક છે.કલ્પસૂત્રને ઘરે પધરાવી રાત્રિ જાગરણ કરવાની ઉત્સવમયી પરંપરા છે.શ્રદ્ધાપૂર્વક એકવીસ વખત ગુરુમુખ વિધિ સહિત કલ્પસૂત્રનું શ્રવણ કરનાર સાત-આઠ ભવોમાં મોક્ષગામી બને છે.કલ્પવૃક્ષરૂપી પર્યુષણનું શ્રેષ્ઠ ફળ કલ્પસૂત્રનું શ્રવણ છે.


