મુખ્યમંત્રીશ્રીએ ગ્રામોદયના દ્યોતક સમી ખાદીની ખરીદી કરી
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી ભંડાર ખાતેથી ખાદી ખરીદી માટે મોડી સાંજે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્વયં ખાદીની ખરીદી કરીને સ્વદેશીની ભાવનાને બળ પૂરું પાડી નાગરિકોને સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળા એ ઉપસ્થિત નાગરિકોનું ભાવસભર અભિવાદન તેમણે ઝીલ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ મેયર શ્રી કિરીટભાઈ પરમાર,અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ઉપસ્થિત રહ્યા હતા .




