દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીના હસ્તે ગુજરાતને આપવામાં આવ્યો એવોર્ડ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16 જાન્યુઆરી 2021ના રોજથી ગુજરાત સહિત દેશ ભરમાં કોવિડ-19 વેક્સિનેશન મહા અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. ગુજરાતમાં પહેલાં જ દિવસથી વેક્સિનેશન અંગે લોકોમાં જનજાગૃતિ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને રેઝિસ્ટન્સ વિસ્તાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને કોવિડ-19 રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત દ્વારા સૌથી સારી રીતે વેક્સિનેશન ડ્રાઇવ ચલાવવાની નોંધ દેશ ભરમાં લેવાઈ રહી છે. ગાંધી જયંતીના દિવસે ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા વિવિધ કેટેગરી માં હેલ્થ ગીરી એવોર્ડ દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના વરદ હસ્તે કોવિડ-19 દરમિયાન સૌથી સારી રીતે વેક્સિનેશન ડ્રાઇવ ચલાવવાનો ઇન્ડિયા ટુડે ગ્રુપનો હેલ્થગીરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ નીલમ પટેલ, સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ઓફિસર ડૉ નયન જાની અને અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શૈલેષ પરમારે ગુજરાત વતી હેલ્થગીરી એવોર્ડ સ્વીકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દરેક ગુજરાતી માટે આ ગૌરવની ક્ષણ છે અને ગુજરાતના કામને દેશભરમાં નોંધ લેવામાં આવી રહી છે. ગુજરાતને મળેલો હેલ્થગીરી એવોર્ડ કોવિડ-19 રસીકરણ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓની સાથે ગુજરાતના નાગરિકોની મહેનતનું પરિણામ છે.



