ગુજરાતનાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે માલપુરથી ગાંધીનગર સુધી દંડવત પ્રણામ કરતા નિકળેલા શ્રી લાલજી ભગતને તાજપુરા ખોડિયાર ગૌ શાળા ખાતે પારણા કરાવી યાત્રાનો અંત લાવતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્ર પરમારના સમાધાનકારી વલણથી આંદોલનનો અંત : વાલ્મિક સમાજના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો.
ગુજરાતના વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના નાના મોટા પ્રશ્નોને લઈને ૧૪ જેટલી મંગાણીઓ સાથે તા – ૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ માલપુરથી ગાંધીનગર સુધી દંડવત પ્રણામ કરતા કરતા વેદનાપત્ર આપવા નીકળેલા માલપુરના શ્રી લાલજી ભગત અને સમર્થકો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં શ્રી ખોડિયાર ગૌ શાળા તાજપુર ખાતે પહોંચતા તેમના પ્રતિનિધિ મંડળને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંવેદના દાખાવીને સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થાય અને તેમની માંગણીઓનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે ગાંધીનગર ખાતે બોલાવી એક બેઠક યોજી હતી. અને યાત્રાના દલિત ભાઈઓને સમજાવીને તેમના મધ્યસ્થી માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારને તેમના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી સોંપતા બન્ને મંત્રીશ્રીઓ આજે સવારે ૧૧:૦૦ કલાકે તાજપુર ખાતેની છાવણીમાં આવીને સફાઈ કામદારોના પ્રશ્નોને વાચા આપી રાજ્ય સરકાર હર હંમેશ લોક કલ્યાણ માટે કટિબદ્ધ છે. તેવી પ્રતિતિ કરાવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈની સરકારની નવી ટીમે ૧૨૧ દિવસ પૂર્ણ કરીને સુશાશનનો છેવાડાના માનવીને પરિચય કરાવ્યો છે. ગુજરાતમાં શાંતિ સલામતી અને સંવેદના સાથે નિષ્ઠાપૂર્વક અમલ કરીને ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવી છે. છતાં નાના મોટા લોકોના પ્રશ્નો હશે તો દરેક મંત્રીઓને પોતાના વિભાગ દ્રારા હલ કરવા સૂચના આપી છે. જેના ભાગ રૂપે આજે આ યાત્રાનો સુખદ અંત આવ્યો છે. આંદોલન કર્મી અને સફાઈ કામદારોનો મંત્રીએ આભાર વ્યક્ત કરી લીંબુ પાણી શ્રી લાલજી ભગતને પીવડાવી પારણા કરાવ્યા હતા. સરકારના આ અભિગમને ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજે વધાવીને આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, આપના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડીને હકારાત્મક ઉકેલ લાવવા અમે હરહંમેશા આપની સાથે જ છીએ. તેવી હૈયાધારણા આપી હતી અને છાવણીમાં નીચે બેસીને તેમના પ્રશ્નો રજૂઆતોને શાંતિથી સાંભળી હતી.
આ પ્રસંગે શ્રી લાલજી ભગત દ્રારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નોને સરકારે સાંભળ્યા છે. અમારો સમાજ ગરીબ છે નાનો છે. અમારી વેદનાને મુખ્યમંત્રીશ્રીએ અને બન્ને મંત્રીશ્રીઓ અહીં આવીને અમને સાંતવના અને ઉકેલ લાવવાની ખાત્રી આપી છે. અમને લઘુત્તમ વેતન અને સફાઈ કામદારોને કાયમી કરો એજ અમારી માંગણી છે. અમને આશા છે કે આ સરકાર પ્રશ્નો ઉકેલશે અને આપ અહીં નાના માણસો પાસે આવ્યા એ બદલ દંડવત પ્રણામ કરી આભાર વ્યક્ત કરું છું. અને યુવાનો, સમાજના આગેવાનો તથા યાત્રાને સહકાર આપનારનો પણ હું ઋણી છું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ શ્રી લાલજી ભગત અને તેમના ધર્મપત્ની લક્ષ્મીબેન તથા છાવણીના દલિત લોકોનું સન્માન કર્યું હતું. સૌએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાનાશ્રી નરેન્દ્રભાઈ, શ્રી ચંદ્રકાન્તભાઈ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સુનિલભાઈ, નારણભાઇ, શ્રી આર. કે તેમજ માલપુરના સરપંચશ્રી ઉપાધ્યાય અને હિતેચ્છુઓ અને મહિલાઓ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સુખદ સમાધાન અંગે ખુશી વ્યક્ત કરી હતી.




