અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે અને અમદાવાદ ઝોનના પ્રિસાઈડીંગ ઓફિસર શ્રી કે.ડી.પરમારના હસ્તે જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરશ્રીની કચેરીનો તા.૧૦/૦૨/૨૦૨૨ના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે.અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રુમ નં – 228માં હંગામી ધોરણે આ કચેરી કાર્યરત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જમીન સંપાદન અધિનિયમ- 2013 હેઠળ સંપાદન થયેલી જમીનમાં કલમ-23 હેઠળ નિયમિત એવોર્ડથી નિયત કરેલા વળતરથી નારાજ થયેલા હિત ધરાવતા અરજદારો વધારાના વળતર બાબતે કલમ-64 હેઠળ રેફરન્સ અરજી કરી શકે છે. આ કચેરી કાર્યરત થવાના પગલે અરજદારો માટે વધુ સાનુકુળ વાતાવરણ સર્જાશે. અહીં એ નોંધનીય છે કે જમીન સંપાદન અધિનિયમ-2013ની કલમ 52 અનુસાર જમીન સંપાદનના વળતર સંબંધિત કેસોના નિકાલ માટે અમદાવાદ ઝોનના પ્રિસાઈડીંગ ઓફિસર( પ્રમુખ અધિકારી) તરીકે શ્રી કે.ડી.પરમારની નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદ ઝોનમાં ઉત્તર અને મધ્ય ઝોનના અમદાવાદ,ગાંધીનગર ,ખેડા,પાટણ,સાબરકાંઠા,બનાસકાંઠા,આણંદ, વડોદરા,પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર,બોટાદ,મહેસાણા,અરવલ્લી,મહીસાગર એમ કુલ ૧૫ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રિસાઈડીંગ ઓફિસરશ્રીની કચેરીના શુભારંભ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી, અધિક નિવાસી નાયબ કલેક્ટરશ્રી,અધિક ચિટ્નીશશ્રી સહિતના અધિકારીશ્રીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.



