કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા




રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૦૨: ડાંગના વિદ્યાર્થીઓને ઉત્તમ ભાવિ કારકિર્દી માટેની શુભકામનાઓ પાઠવતા, કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ, જીવનના દરેક તબક્કે, નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોથી દૂર રહીને લક્ષ સિદ્ધિ હાંસલ કરવાની હિમાયત કરી છે.
આહવાની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના વાર્ષિકોત્સવ, ઈનામ વિતરણ, તથા વિદાય સમારંભ જેવા ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમા ઉદ્દઘાટન તથા સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા, ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ, કોલેજમાંથી પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને વિદાય લેતા વિદ્યાર્થીઓને, પોતાની શાળા/કોલેજ સાથે માતપિતાને પણ ગૌરવ મળે, તેવા ઉચ્ચ લક્ષ સાથે જીવનમા આગળ વધવાની અપીલ કરી હતી.
કોલેજ કાળ સમાપ્ત કરીને જતા વિદ્યાર્થીઓની, કોલેજ બહારની નવી દુનિયા અને નવી જવાબદારીનો શુભારંભ થઈ રહ્યો છે તેમ જણાવતા કલેક્ટરશ્રીએ, નિષ્ફળતા થી ડગ્યા વિના સતત પરિશ્રમ અને હકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
ગમે તેટલા ઉચ્ચ સ્થાને પહોંચો, કે ઉચ્ચ પદવી હાંસલ કરો. તેની ગરિમા ત્યારે જ જળવાશે જ્યારે, વ્યક્તિ તેની સફળતાને પચાવી, વિનમ્રતા સાથે એક જવાબદાર અને આદર્શ નાગરીક બને તેમ જણાવતા કલેક્ટર શ્રી પંડયાએ, કોલેજના સ્વર્ણકાળ બાદ, જીવનના દરેક ક્ષેત્રે સખત પરિશ્રમ કરવાની પણ યુવાનોને હાંકલ કરી હતી.
દરમિયાન ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત, પ્રયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ.એ.જી.ધારિયા, સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ, વાંકલ (સુરત) ના પ્રિન્સિપાલ શ્રી ડૉ.જે.ટી.ચૌધરી વિગેરે મહાનુભાવોએ, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તથા રમતવીરોને પરિતોષિકો એનાયત કરીને, પ્રોત્સાહિત કર્યા હતા.
દરમિયાન મહાનુભવોનુ શાબ્દિક સ્વાગત પ્રિન્સિપાલશ્રી ડૉ.ઉત્તમ ગાંગુર્ડેએ કર્યું હતુ. કોલેજની વાર્ષિક સિદ્ધિઓની ઘોષણા પ્રા.એ.આર.પટેલ કરી હતી. પ્રા.ડી.એમ.ગાવિતે વિદાય લેતા વિદ્યાર્થીઓને આર્શિવચનો પાઠવ્યા હતા.
વર્ષ દરમિયાન સપ્તધારા, સાંસ્કૃતિક, જિમખાના, એન.એસ.એસ., પરીક્ષા, ઈ.એલ.સી.ક્લબ વિગેરે દ્વારા કરવામા આવેલઈ વિવિધ પ્રવૃત્તિઓમા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને, ઈનામ અને પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમના બીજા ચરણમા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવ્યા હતા. જેમા ભારતવર્ષની સાંસ્કૃતિક છબીની ઝલક જોવા મળી હતી.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડૉ.બી.એ.પટેલ,અને પ્રા.એમ.પી.ઠાકરડા દ્વારા કરવામા આવ્યુ હતુ. આભાર વિધિ પ્રા.એમ.પી.ઠાકરડાએ કરી હતી. કાર્યક્રમની કાર્ય વ્યવસ્થા પ્રિન્સિપાલ શ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ એસ.આર.સી. સમિતિ અને સાંસ્કૃતિક સમિતિના સભ્યોએ સંભાળી હતી.
