
ડીસામાં વસતા મહેશ્વરી સમાજની બહેનો દ્વારા દર વર્ષે ભારે ઉત્સાહ સાથે ગણગૌર પર્વની ઉજવણી થાય છે. જેમાં સતત 15 દિવસ સુધી ચાલતાં ગણગૌર પર્વની ઉજવણી મહેશ્વરી સમાજ માટે ખાસ હોય છે. ફાગણ માસમાં ધૂળેટીના પર્વથી ગણગૌર પર્વની ઉજવણી શરૂ થઇ જાય છે. મહેશ્વરી સમાજની બહેનો માથે બેડલા ઉપાડી શોભાયાત્રા સ્વરૂપે ગામના શિવ મંદિરે ફરતી હોય છે. જ્યારે ચૈત્ર માસના ત્રીજના દિવસે સોમવારે શંકર-પાર્વતીના લગ્ન યોજવા હોઇ વ્રતધારી મહીલાઓ ભગવાનના લગ્ન મહોત્સવની તૈયારી હાથ ધરી હતી. ભગવાન શિવ અને પાર્વતીને પાટે બેસાડી મહેંદીના પ્રસંગની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે હીન્દી મારવાડી ગીતો પર બાળકો અને મહીલાઓએ નૃત્ય રજૂ કર્યાં હતા. જ્યારે ડીસા નગરપાલિકાના સદસ્ય મધુબેન શ્રવણભાઇ કેલાના નિવાસસ્થાનેથી સોમવારે વાજતે-ગાજતે વિશાળ શોભાયાત્રામાં લોકોની ઉપસ્થિતિમાં ભગવાન શંકર-પાર્વતીનો વરઘોડો યોજાયો હતો. જ્યારે મહેશ્વરી ભવન લીલાશાનગરમાં આવેલ વાડીમાં ઉર્મિલાબેન સ્વ. અર્જુનભાઇ રાઠીના પરિવારે ભગવાન શંકર-પાર્વતી ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યા હતા. જ્યારે મંગળવારે મહીલાઓએ ભગવાન શંકર-પાર્વતીની મૂર્તિનું માલગઢના તળાવમાં વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ મહેશભાઇ પરમાનંદભાઇ મહેશ્વરી, મહીલા મંડળ પ્રમુખ મંજુબેન મિતેષભાઇ રાઠી, ડીસા નગરપાલિકાના સદસ્ય મધુબેન શ્રવણભાઇ કેલા, ઉર્મિલાબેન સ્વ. અર્જુનભાઇ રાઠી અને સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
