
પ્રવાસનધામો અને યાત્રાધામોમાં પ્રવાસીઓને સારી સુવિધાઓ મળે તેવો રાજ્યસરકારનો અભિગમ છે – પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઇ મોદી





વલસાડ તાલુકાના સુપ્રસિદ્ધ ધાર્મિક પ્રવાસન સ્થળ પારનેરા ડુંગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા રૂા.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી સુવિધાઓનું લોકાર્પણ પ્રવાસન, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના વરદ હસ્તે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આજે પારનેરા ડુંગર ખાતે આર.સી.સી. પગથિયાં અને શેડ, સનસેટ પોઇન્ટ, ગાર્ડન, પાર્કિંગ અને રોડની સુવિધાઓનું લોકાર્પણ કરતાં પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પ્રવાસનધામો અને યાત્રાધામોમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે અને તેઓને સારી સુવિધાઓ મળે તેવો રાજ્યસરકારનો અભિગમ છે. જેના ભાગરૂપે આજે પારનેરા ડુંગર ખાતે અનેક સુવિધાઓનું લોકાર્પણ કરાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના અનેક પવિત્ર યાત્રાધામોના ઐતિહાસિક મૂલ્યો પણ છે. શિવાજી મહારાજે પારનેરા ડુંગર ઉપર માતાજીની સ્થાપના કરી હતી, જેના થકી આ સ્થાનનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ છે. સમગ્ર ગુજરાતમાં કુદરતે અદભુત સૌંદર્ય આપ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતનું સાપુતારા મોટું હિલ સ્ટેશન છે. રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ પ્રવાસન સ્થળ અને યાત્રાધામો ખાતે ઊભી કરવામાં આવી છે. ને.હા. ઉપરનું ભારણ ઘટે અને પ્રવાસનને ઉત્તેજન મળે તે માટે દરિયાકિનારે ૧૬૦૦ કિમીના કોસ્ટલ રોડ વિકસાવાનું આયોજન કરાયું છે. આ રોડ ઉપર આવતા વલસાડના તિથલ સહિત અનેક બીચનો પણ વિકાસ કરાશે. જેના થકી રોજગારીની તકો વધશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સાપુતારા સુધી ટુરિઝમ સરકીટ બનાવશે જ્યારે સાપુતારા સુધી ફોરલેન બનાવવાનું આયોજન આ બજેટમાં કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. દેશની આઝાદીની લડાઇમાં અનેક મહાપુરુષોએ આપેલા યોગદાનની આજની નવી પેઢીને ખબર પડે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સૌને આવાસ મળે, વીજળી કનેકશન, શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે આ સરકાર કટિબદ્ધ છે. કોરોના મહામારીમાં જરૂરિયાતમંદો ભૂખ્યા ન રહે તે માટે તેઓને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે. કોરોનાથી દેશના પ્રજાજનોને રક્ષણ મળે તે માટે ૧૮૦ કરોડ કરતા વધુ લોકોનું કોવિડ રસીકરણ કરાયું છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિકાસકાર્યો એ સતત ચાલતી પ્રક્રિયા છે. ચૈત્રી નવરાત્રીના શુભ અવસરે લોકાર્પણ થઈ રહેલા પારનેરા ડુંગર પ્રવાસન સ્થળને મોટું યાત્રાધામ બનાવવાનું આયોજન કરાશે. આ અવસરે ધારાસભ્ય ભરતભાઇ પટેલે ચૈત્ર નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતાં આસ્થાનું પ્રતીક પારનેરા ડુંગરનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું. અહીં આવતા હજારો પ્રવાસીઓ માટે આજે લોકાર્પણ કરાયેલી સુવિધાઓ ઉપયોગી સાબિત થશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.આ અવસરે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ અને રમત- ગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં સૌ પ્રથમવાર પારનેરા ડુંગર ખાતે યોજાયેલી આરોહણ- અવરોહણ સ્પર્ધાના વિજેતાઓને પારનેરા માતાજી ટ્રસ્ટ અને વન વિભાગ તરફથી મળેલી સ્મળતિભેટ અને શીલ્ડ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, પારનેરા ડુંગરની ટોચ ઉપર શ્રી ચંડીકા માતા, શ્રી અંબિકા માતા, શ્રી નવદુર્ગા અને મહાકાળી માતાજીના મંદિર આવેલાં છે. અહીં વર્ષમાં બે વખત ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. આ ઉપરાંત દર માસની પૂનમે દર્શનાર્થીઓ માટે ભંડારો રાખવામાં આવે છે. આ દર્શનાર્થીઓ માટે સુવિધાઓ ખૂબ જ ઉપયોગી નીવડશે.આ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે પ્રાંત અધિકારી નિલેશભાઇ કુકડીયા, તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઇ, પારનેરા સરપંચ ભરતભાઇ પટેલ, પારનેરા માતાજી ટ્રસ્ટના બાબુભાઇ પટેલ અને પંકજભાઇ પટેલ, જિલ્લા પ્રવાસ સમિતી સભ્યો તેમજ વન વિભાગના અધિકારી/ કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
