નાગરિકોને આ આરોગ્ય મેળાનો લાભ લેવા અનુરોધ
આણંદ – સોમવાર :: જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી તા. ૧૮ થી ૨૬ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
તદ્અનુસાર આગામી તા. ૧૮/૪/૨૦૨૨ને સોમવારના રોજ આણંદ તાલુકાના સારસા અને ખંભાત તાલુકાના ઉંદેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારના ૯-૦૦ કલાકે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હેલ્થ મેળા અંગેની વિગતો આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું હતું કે, આ હેલ્થ મેળા દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ અને પ્રોગ્રામો વિશેની જાણકારી આપવાની સાથે નાગરિકોમાં આરોગ્ય પ્રતિ જાગૃતિ આવે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત ડિજીટલ હેલ્થ મિશન અંતર્ગત યુનિક હેલ્થ આઇ.ડી. કાર્ડ બનાવવા, પીએમજેએવાયા આયુષ્યમાન કાર્ડ આપવાની કામગીરી, નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્યની ચકાસણી, પોષણ અભિયાન અંતર્ગત કામગીરી, આયુષ (આયુર્વેદ)ની કામગીરી, ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવેલ ટેલી મેડીસીન અને ઇ-સંજીવની ઓપીડીની કામગીરી કરવામાં આવનાર છે.
આરોગ્ય ક્ષેત્રે ટેલી કન્સલ્ટીંગ પ્રોગ્રામને ઇ-સંજીવની પ્લેટફોર્મ સાથે જોડવામાં આવેલ હોઇ દેશમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામથી દર્દીઓને નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન ઘરઆંગણે ઉપલબ્ધ થતાં આ સેવા વરદાનરૂપ સાબિત થનાર હોઇ તેની પણ આ મેળા દરમિયાન જાણકારી આપવમાં આવશે તેમ ડૉ. છારીએ વધુમાં જણાવી વિવિધ કોમ્યુનિકેબલ અને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ અંતર્ગત અટકાયતી પગલાં વિશે પણ જનજાગૃતિ કેળવવામાં આવનાર હોવાનું કહ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વસ્થ ભારત બનાવવાના કેન્દ્ર-રાજય સરકારના આ આહવાનને સાકાર કરવા યોજાઇ રહેલા આ આરોગ્ય મેળાનો જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાએ નાગરિકોને લાભ લેવા અપીલ કરી છે.
