




ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભુવાલડી ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવયુગલોને આશીર્વચન આપવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ઠાકોર સમાજના ૫૧ નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છા અને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સમૂહ લગ્નનું આયોજન એક હકારાત્મક સામાજિક અભિયાન છે. આવા અર્થ પૂર્ણ આયોજનને પગલે સમાજ વ્યવસ્થાને એક નવી દિશા મળશે જ પરંતુ સાથે સાથે બિનજરૂરી થતા ખર્ચાઓ પણ અટકાવી શકાશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત સરકાર દરેક સમાજને સાથે રાખી આગળ વધી રહી છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાય તે સરકારની નેમ છે. તેમણે સમૂહ લગ્નના આયોજક જે.કે ગૃપ તથા સમાજના આગેવાનો, દાતાઓ તેમજ આયોજન સમિતિના આગેવાનોને સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે શ્રી સી.આર. પાટીલે તમામ દંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા શરૂ થયેલી સમૂહ લગ્નોત્સવની આ પ્રથામાં આજે દરેક સમાજ આ દિશામાં આગળ વધી રહ્યો છે તે આનંદની વાત છે. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે, આર્થિક રીતે નબળો કહેવાતો આ સમાજ જ્યારે આટલા મોટા પ્રમાણમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે એ ખૂબ ગૌરવની વાત કહેવાય. આ પ્રસંગે જે.કે ગૃપના શ્રી જનકભાઈ તથા શ્રી કુંજનસિંહ ઠાકોર અને સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીનું પાઘડી અને ગુલાબનો મોટો હાર તથા તલવાર આપીને ભવ્ય સન્માન કર્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં માતા – પિતા વિનાની દીકરીને રૂ. ૧ લાખના બોન્ડ તથા પ્રત્યેક નવયુગલોને ચાંદીની પાયલ, ફ્રીઝ, ઘરઘંટી, તિજોરી, પેટી પલંગ જેવી ઘરવખરીની ૧૨૭ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર તથા અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
