
પોતાની ડિપોઝિટ ગુમાવવી હશે એ જ ભાજપ સામે ચૂંટણી લડશે અથવા તો એણે ભાજપમાં જોડાયા સિવાય કોઈ વિકલ્પ નહિ રહે: સી.આર.પાટીલ

નર્મદા જિલ્લામાં વન-ડે વન-ડિસ્ટ્રિક્ટ’ કાર્યકમ અંતર્ગત સી.આર.પાટીલની અઘ્યક્ષતામાં ભાજપનાં પેજ સમિતિના કાર્યકરોનું સંમેલન યોજાયું

છોટુભાઈ વસાવા જ્યારે સંસદીય સચિવ હતાં ત્યારે એમણે આદિવાસીઓના કોઈ કામ કર્યા નથી, લોકોને ઠગવાથી આદિવાસીઓના મસીહા ના બનાય: મનસુખ વસાવા
વિશાલ મિસ્ત્રી રાજપીપલા: નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ’ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઝીન કંપાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાજપનાં પેજ સમિતિના કાર્યકરોને સંબોધ્યા હતા.સંબોધન પૂર્વે ભાજપ કાર્યકરોએ વિશાળ રેલી સ્વરૂપે સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું.પેજ સમિતિના કાર્યકરોને સંબોધતા સી.આર.પાટિલે જણાવ્યું હતું કે ભાજપની સંગઠન શક્તિ જોતા જેણે પોતાની ડિપોઝિટ ગુમાવવી હશે એ જ ભાજપ સામે ચૂંટણી લડશે અથવા તો એણે ભાજપમાં જોડાયા સિવાય કોઈ વિકલ્પ નહિ રહે.ગુજરાત સરકારે નર્મદા જિલ્લામાં 10 કરોડના ખર્ચે સાયન્સ સિટી બનાવવાનું નક્કી કર્યું છે.પૂર્વ પી.એમ મનમોહન સિંહને ટોણો મારતાં જણાવ્યું હતું કે જો 2014 પેહલા કોરોના આવ્યો હોત તો ધીમી ગતિના સમાચાર સમાન પૂર્વ વડાપ્રધાનને 5 વર્ષ સુધી તો વેક્સિન બનાવવાનો વિચાર ન આવ્યો હોત અને અડધું ભારત પૂરું થઈ ગયું હોત.જ્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ વખતે બીટીપી નું નામોનિશાન મટી જશે, આમ આદમી પાર્ટીને દિલ્હી ઘર ભેગા કરી દઈશું.ગુજરાતીઓ મફતનું લેવા વાળા નથી, પણ મહેનતુ છે.ચૂંટણી જીતવા બી.ટી.પી હવાતિયાં મારે છે, કોંગ્રેસ પતી ગયું છે અને આપ પાર્ટી જેવા જૂઠા લોકોથી સાવધાન રેહવા જેવું છે.છોટુભાઈ વસાવા જ્યારે સંસદીય સચિવ હતાં ત્યારે એમણે આદિવાસીઓના કોઈ કામ કર્યા નથી, લોકોને ઠગવાથી આદિવાસીઓના મસીહા ના બનાય.આપ પાર્ટી અને બી.ટી.પી લોકોને ધોળે દિવસે તારા બતાવે છે.જંગલની જમીનનો અધિકાર હતો એને જમીનો મળી ગઈ છે, હવે જંગલ ઉગાડવાનું આપણે કામ કરવું પડશે, જંગલ સાચવવું પડશે.
શૈશવ રાવ. રાજપીપળા

