
કેન્દ્રીય રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે આજરોજ નવસારી જિલ્લાના નસિલપોર ગામે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (@ Ch. 238)ની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. ના ટેકનિકલ ટીમ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને બોક્સ સ્પાન ગર્ડર લોંચિંગ કામગીરીની સમગ્રલક્ષી કાર્યપધ્ધતિથી માહિતગાર કર્યા હતા. રેલવેમંત્રીશ્રીએ સ્થળ પર 40 મીટર લાંબા અને 1100 ટનથી વધુ વજન ધરાવતા ગ્રાઇડર લોંચિંગનું નિરીક્ષણ કર્યું હતું . કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ આ મુલાકાતમાં જોડાયા હતા. મીડિયા બ્રિફિંગ દરમિયાન તેમણે જણાવ્યું કે , દેશનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમદાવાદ -મુંબઈ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ-વાપીની કામગીરી સંતોષકારક રીતે ઝડપથી થઈ રહી છે. જમીનથી અંદાજિત 40 ફૂટ ઊંચાઈ પર બે સ્થંભ વચ્ચે સ્પાન બોક્સ ગર્ડરનું લોંચિંગ નવી ટેકનોલોજીથી થઈ રહ્યું છે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે રેલવે મંત્રીશ્રીએ ઉપસ્થિત શ્રમિકોનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓને સંબોધતા તેમણે જણાવ્યું કે, દેશના કોઈ પણ ખૂણે કામ કરતાં શ્રમિકો ‘વન નેશન, વન રેશન’ યોજના હેઠળ કામના સ્થળે અનાજ મેળવી શકે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સેવા અને સર્વના વિકાસની ભાવના સાથે કેન્દ્ર સરકાર કાર્યરત છે એમ જણાવી હાઈસ્પીડ રેલવેની કામગીરીને નિયત સમયમાં આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ ઉમેર્યું હતું.
