સરકારની કલ્યાણકારી યોજનાઓથી લોકહિતાર્થની ભાવના સાકાર થઇ રહી છેઃ મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા

કમલમ દૈનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ બ્યુરો મહેશ ડી સિંધવ

મોરબી શહેરનો આઠ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અંતર્ગતનો કાર્યક્રમ પશુપાલન અને ગૌ સંવર્ધન તથા મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દેવાભાઇના અધ્યક્ષસ્થાને તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ ગયો.

    જનસુખાકારીના સંકલ્પને સરકારની નેમ ગણાવતા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના લોકોની દરકાર લેવામાં આવી રહી છે. સરકારશ્રીની વિવિધ જનકલ્યાણની યોજનાઓનો ચિતાર આપી તેનાથી સમાજમાં આવેલ પરિવર્તન અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. ઉપરાંત ગરીબ અને વંચીતોના જીવનધોરણમાં આ યોજનાઓથી આવેલ સુધારાની સાથે ટકાઉ વિકાસ અને આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નની સિદ્ધિઓ વર્ણવી હતી.

    ગરીબ કલ્યાણની સાથે સુસાશનની સુવાસને સાંકળી લેતા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએઆ તકે જણાવ્યું હતું કે, ભારતભરમાં ભ્રષ્ટાચારને બદલે હવે શિષ્ટાચાર વ્યાપ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ થકી લોકહિતાર્થની ભાવના સાકાર થઇ રહી છે. કિસાન સન્માન નિધિથી ધરતી પુત્રોનું સન્માન કરવામાં આવ્યું, ઉજ્જવલા યોજના ગેસની સુવિધા સાથે ઘરમાં સુખાકારીનું અજવાળુ લાવી તથા આવાસ યોજનાએ લોકોની માથે છત આપી. એમ વિવિધ યોજનાઓ થકી જનસુખાકારીના કાર્યો થઇ રહ્યા છે.

    વધુમાં મંત્રીશ્રી મેરજાએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્વનિધિ યોજના વગેરેથી સમાજને થયેલા લાભોની ગાથા ગુંજતી મુકી હતી. ઉપરાંત મોરબી જિલ્લામાં મેડીકલ કોલેજની મંજૂરી, ૧૮ પેટા આરોગ્ય કેન્દ્ર, મોરબી સિવિલ હોસ્પિટલમાં પૂરતો અને સ્પેશ્યાલિસ્ટ સ્ટાફ વગેરે જેવા કામોની સિદ્ધિ વર્ણવી વિકાસના માર્ગે હરણફાળ ભરી રહેલા મોરબીમાં ૧૪૦૦ કરોડ જેટલી રકમના વિવિધ પ્રકલ્પો હાલમાં ચાલી રહ્યા છે તેવું વધુમાં જણાવ્યું હતું.

    આ પ્રસંગે મહાનુભવોના હસ્તે સખીમંડળ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વનિધિ યોજના, ઉજ્જવલા, મુદ્રા યોજના, વન નેશન વન રેશન, આયુષ્માન ભારત તેમજ પોષણ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.

    આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. શાબ્દિક સ્વાગત ઇન્ચાર્જ કલેક્ટરશ્રી તેમજ અધિક નિવાસ કલેક્ટરશ્રી એન.કે. મુછારે કર્યું હતું. આભારવિધિ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મિતાબેન જોષીએ કર્યું હતું.

    આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લજીભાઇ દેથરીયા, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ તથા ઇશિતાબેન મેર, સર્વે પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, એમ.એ. ઝાલા, શ્રી શેરસીયા, અગ્રણી સર્વેશ્રી હીરાભાઇ ટમારીયા, જયંતીભાઇ પડસુંબીયા, ભવાનભાઇ ભાગીયા, મગનભાઇ વડાવીયા, મંજુલાબેન દેત્રોજા, સંગીતાબેન ભીમાણી, જયુભા જાડેજા, કિશોરભાઇ ચીખલીયા તેમજ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM