




નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા (કુન્બી) જ્ઞાતિપંચના સુખી ભવન ખાતે કુંકણા સમાજનો ૨૨ માં વાર્ષિક સામાન્ય સભા મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાલાલ શાહ, નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ શ્રી જીગીશ શાહ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવસારી કુંકણા સમાજનો આજે ૨૨ મો વાર્ષિક સમારોહ યોજી રહયા છે, જે ખૂબ આનંદની વાત છે. રાજયપાલશ્રીએ સમાજને સંગઠિત કરનાર તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. સમાજમાં સામાજીક કુરિવાજો, વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરી, કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઇએ. સમાજના આગેવાનો સમાજને સંગઠિત કરી આગળ લાવવા જણાવ્યું હતું.
રાજયપાલશ્રીએ કુંકણા જ્ઞાતિપંચના નવા નિમાયેલા હોદેદારોને શુભેચ્છા આપી, સમાજમાં સૌને સાથે રાખી મજબૂત સંગઠન બનાવવા જણાવ્યું હતું. વધુમાં આદિવાસીઓમાં સિકલસેલ જેવી બિમારીઓ વિશે જાણકારી આપી હતી. તેમજ રાજય સરકારશ્રીની યોજનાઓનો પણ ખ્યાલ આપ્યો હતો.
વાર્ષિક સમારોહમાં કુંકણા સમાજના પ્રમુખ શ્રી રમેશભાઇ દેશમુખ અને માજી પ્રમુખ શ્રી ઇશ્વરભાઇએ પ્રાસંગિક ઉદ્ધબોધનમાં જણાવ્યું હતું કે, સમાજને સંગઠિત કરવા અને સૌને સાથે રાખી સમાજનો વિકાસ કરવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે.
વાર્ષિક સમારોહમાં જુ.કે.જી. લઇ ઉચ્ચતર શિક્ષણ મેળવેલા તેમજ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીયક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ રાજયપાલશ્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે નવસારીના અગ્રણી શ્રી માધુભાઇ કથીરીયા, શ્રી હરીશ મંગલાણી, શ્રી કરસનભાઇ ટીલવા, શ્રી છોટુભાઇ પટેલ, શ્રી વેસ્તાભાઇ પટેલ, શ્રીમતી નર્મદાબેન પટેલ, નીલાબેન દેશમુખ, શ્રી દિપેશ પટેલ, ભુમિકાબેન કુન્બી, શ્રી પ્રકાશભાઇ દેશમુખ, શ્રી અશોકભાઇ ચોટલીયા, કુંકણા સમાજના સુરત, વલસાડ, બીલીમોરા ના અગ્રણીઓ, જ્ઞાતિપંચના હોદે્દારો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

