બાળકોને રસી અપાવીશું તો શાળા, પરિવાર અને સમાજ સુરક્ષિત બનશે

તાજેતરમાં ઉનાળુ વેકેશન પૂરું થતા શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે તેની સાથે કોરોનાના કેસોમાં પણ ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓમાં સંભવત થનારા વધારા વચ્ચે માસુમ બાળકો કોરોનાની ઝપેટે ચઢે નહીં તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરના મેડિકલ ઓફિસર ડો. રુચિતાબેન ધુઆના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમ દ્વારા મુંદરાની ઋષિરાજ વિદ્યાલયના 12 થી 14 વર્ષના 81 બાળકોને કોરોના સામે રક્ષણ આપતી કોર્બોવેક્સ રસી આપવામાં આવી હતી. જેમાં કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠકકરની આગેવાની હેઠળ મિરલબેન કનાન, ચિરાગ ઉપેરિયા, નીલ પટેલિયા અને પંકજ તાવીયાડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં ઋષિરાજ વિદ્યાલયના આચાર્યા મીતાબેન ચોથાણીના માર્ગદર્શન હેઠળ હરિભાઈ ગીલવા, શ્યામભાઈ વેજાણી, કુંજલબેન ઓઝા ઉપરાંત ટ્રસ્ટીઓ કરશનભાઇ અને ભારૂભાઈ વેજાણી સહયોગી રહ્યા હતા. તાલુકાની અન્ય શાળાઓના 12 વર્ષથી ઉપરના બાળકો માટે પણ તબબકા વાર રસીકરણ કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વાલીઓ શાળાનો સંપર્ક કરીને પોતાના બાળકોને અચૂક રસીના બે ડોઝ અપાવે જેના થકી બાળક, શાળા, પરિવાર અને સમાજને સુરક્ષિત બનાવી શકીશું એવું તાલુકા આરોગ્ય અધિકારી ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

