મોરબીમાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને ખુલ્લુ મુકતા રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા

સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું એલ. ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાજય સરકારના વિવિધ વિભાગોની ૨૦ વર્ષની વિકાસ યાત્રાનું પ્રદર્શન તેમજ સખી મંડળો દ્વારા વેચાણ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદર્શન મેળાના ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ૨૦ વર્ષમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. રાજય સરકારે સખીમંડળને તેના ગૃહઉદ્યોગોમાં માત્ર સહાય જ નહીં પરંતુ તે ગૃહઉદ્યોગોને વેચાણ કરવામાં પણ મદદ કરી, પંડિત દીન દયાળ ની અંત્યોદય ઉધ્ધારની કલ્પનાને સાર્થક કરી છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ સખી મંડળોની બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે લિજ્જત પાપડ આજે વિશ્વભરમાં પાપડ એક્સપોર્ટ કરી રહી છે એવી જ રીતે આ જિલ્લાની બહેનો પણ પોતાના ઉદ્યોગ થકી વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી શકે અને આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે રાજય સરકાર પૂરતી સહાય કરી રહી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાએ તેમજ જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષશ્રી જયંતીભાઈ પડસુંબીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (DAY-NRLM) અંતર્ગત મોરબી જિલ્લાના જુદા જુદા ગામના ૨૮ નગરપાલિકા વિસ્તારના ૭ તેમજ અન્ય જિલ્લાઓના ૧૫ બહેનો મળી આ સખી મેળામાં કુલ ૫૦ સ્વસહાયની બહેનો તેમજ જુદા જુદા કારીગર દ્વારા કલાત્મક વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ તેમજ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ, ફુડ પ્રોડક્ટ, ગૃહસુશોભન, વણાટ કામની વસ્તુઓ ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું બહેનો દ્વારા સીધુ જ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, કારોબારી સમિતિ અધ્યક્ષશ્રી જયંતીભાઈ પડસુંબીયા, નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.જે. ભગદેવ, નિવાસી અધિક કલેકટરશ્રી એન. કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ઇન્ચાર્જ નિયામકશ્રી ઈલાબેન ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈશિતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, ડી.વાય.એસ.પી.શ્રી એમ.કે.પઠાણ, અગ્રણીઓ સર્વશ્રી જીજ્ઞેશભાઈ કૈલા, કે.કે. ચાવડા, નથુભાઈ કડીવાર, સુરેશભાઈ દેસાઈ, જેઠાભાઇ પારેધી, અરવિંદભાઈ વાંસદળીયા, સખી મંડળની બહેનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM