



વિવિધ સરકારી યોજનાઓના ૧૨૨ લાભાર્થીઓને કીટ-પ્રમાણપત્રનું વિતરણ કરાયું
વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું આજરોજ અંજાર તાલુકાના ભીમાસર(ચકાસર) ખાતે આગમન થતાં લોકવિકાસના રૂ. ૫ લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. રથને ગ્રામજનો તથા આગેવાનોએ તિલક કરીને આવકાર્યો હતો. વંદે વિકાસયાત્રા રથ આગમન પ્રસંગે ગામ આગેવાનોનું ઔષધીય છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનોને ગુજરાત રાજયના ૨૦ વર્ષના વિકાસની ટુંકી ફિલ્મ દર્શાવાઇ હતી. આંગણવાડીના સ્ટોરરૂમ, રોડ તથા સામુહિક વિકાસના બે કામો સહિત કુલ રૂ.૫ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નાગરીકોના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે જેના કારણે પ્રજાની સુખાકારીમાં વધારો થયો છે. ત્યારે લોકોએ પણ આયુષ્માન કાર્ડ, વિધવા સહાય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વગેરેનો બહોળા પ્રમાણમાં લાભ લેવો જોઈએ. કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના ૧૨૨ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સર્વશ્રી ગામ અગ્રણીઓમાં મનજીભાઇ આહીર, બાબુભાઇ આહીર, મનોજભાઇ સુથાર તથા વિસ્તરણ અધિકારીશ્રી પી.એમ.લિંબાચીયા, તલાટીશ્રી આશાબેન ચૌધરી તેમજ આરોગ્ય વિભાગ અને આંગણવાડીના કર્મચારીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

