જિલ્લાના મહત્વના પ્રશ્નોના સુચારૂં ઉકેલ સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટના સર્વાંગી વિકાસ માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યું છે – સમિતિના અધ્યક્ષશ્રી અને સાંસદશ્રી મનસુખભાઇ વસાવા
જિલ્લાના મહત્વના પ્રશ્નોના સુચારૂં ઉકેલ સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટના સર્વાંગી વિકાસ માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યું છે – સમિતિના અધ્યક્ષશ્રી અને સાંસદશ્રી મનસુખભાઇ વસાવા
જિલ્લાના જનસમુદાયને સમયસર યોજનાકીય લાભો મળી રહે તે માટે જિલ્લાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ-પદાધિકારીશ્રીઓ સાથે જરૂરી સંકલનમાં રહીને વિકાસ કામો હાથ ધરાય તે જોવા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઇ વસાવાની હિમાયત
શૈશવ રાવ-રાજપીપળા
ભરૂચના સાંસદશ્રી અને નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં આજે રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી દિશા મોનીટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરાય અને લાભાન્વિત જનસમુદાયને તેના લાભો સમયસર મળી રહે તે માટે જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ સાથે જરૂરી સંકલન અને પરામર્શમાં રહીને વિકાસ કામો હાથ ધરાય તે જોવા શ્રી વસાવાએ ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોર સહિતના સમિતિના અન્ય સભ્યશ્રીઓ, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લામાં સમાજના ગરીબ અને છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ સાથે દેશને સમૃધ્ધ બનાવવાની દિશાના ભગીરથ પ્રયાસો સરકારશ્રી દ્વારા થઇ રહ્યાં છે, ત્યારે જિલ્લાના મહત્વના પ્રશ્નોના સુચારૂં ઉકેલ સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટના સર્વાંગી વિકાસ માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યું છે તેમ શ્રી વસાવાએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે શ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, મિશન મંગલમ, ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક, વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સહકાર, પશુપાલન, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, નહેરુ યુવા કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, રમત-ગમત, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વિજ વિભાગ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પણ પૂરૂં પાડ્યું હતું.
બેઠકમાં ચર્ચા દરમિયાન ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિતના અન્ય સભ્યશ્રીઓએ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.
બેઠક બાદ દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઈ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક જિલ્લા-તાલુકાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે દર ત્રણ મહિને યોજાતી હોય છે, જિલ્લાના તમામ વિભાગો દ્વારા થયેલી કામગીરીની વિસ્તૃત ચર્ચા સાથે તેની સમીક્ષા થતી હોય છે. આ દિશા મિટીંગમાં બધા જ વિભાગના અધિકારીઓ ઉપરાંત કેટલાંક સામાજિક પ્રતિનિધીઓને પણ આમંત્રિત સભ્યો તરીકે રાખવામાં આવે છે. આ બધા જ લોકો પોતપોતાના વિસ્તારના કોઇપણ વિભાગને લગતા પ્રશ્નોની દિશા સમિતિની બેઠકમાં ચર્ચામાં ભાગ લઇ શકે છે અને જિલ્લાની વિકાસકૂચ સતત જારી રહે તેવા સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પણ આ બેઠકમાં પુરૂં પાડવામાં આવે છે. જિલ્લામાં સરકારશ્રીની તમામ યોજનાકીય બાબતોની અમલવારી કરતા વિભાગો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે તેમ પણ તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.