
રિપોર્ટ : ચિરાગ પાંડેય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ૫મી સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, આજવા રોડ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની પરંપરા રહી છે કે, પાંચમી સપ્ટેમ્બરના દિવસે નિવૃત્ત થયેલા શિક્ષકો, તેમજ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા આચાર્ય, શિક્ષકો, બાલવાડી શિક્ષકો, શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ બાલવાડીનું સન્માન કરવામાં આવે છે. આ નિમિત્તે મુખ્ય મહેમાનશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સાંસદશ્રી રંજનબેન ભટ્ટ, મુખ્ય વક્તાશ્રી જયેન્દ્રસિંહ જાધવ, વડોદરા મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા, ડે. મેયર શ્રીમતી નંદાબેન જોશી, કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ડો હિતેન્દ્રભાઈ પટેલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી અર્ચનાબેન ચૌધરી હાજર રહ્યા હતા.સૌનું પ્રસંગોચિત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટણીએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે મહાનુભાવની સ્મૃતિમાં આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે, તેમની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા, તેમનું સમર્પણ, તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.






શિક્ષણ ક્ષેત્રે 40 વર્ષનો અનુભવ ધરાવતા શ્રી રાધાક્રિશ્નનએ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો સૂચવ્યા હતા અને તેથી જ આજે પણ શિક્ષણ ક્ષેત્રે આધાર તરીકે “રાધાક્રિશ્નન રિપોર્ટ” નો ઉપયોગ કરવામાં આવે છે. ૧૯૫૪ માં તેઓને તેમના યોગદાન બદલ ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ સિવાય તત્વજ્ઞાની તરીકે તેમજ વિશ્વ શાંતિ માટે માર્ગદર્શક તરીકે યુનેસ્કો અને યુએનમાં પણ તેમની સેવાઓ કોઈનાથી અજાણ નથી. અધ્યક્ષશ્રીએ અવાર્ડ વિજેતા શિક્ષકો અને શાળા તેમજ બાલવાડીને જણાવ્યું હતું કે સમાજની અને રાષ્ટ્રની આપણી પાસેથી ઘણી ઊંચી અપેક્ષાઓ છે.શિક્ષણનું સ્તર જ્યાં છે ત્યાંથી વિશેષ આગળ વધો. આ પ્રસંગે શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ બાલવાડી અને શ્રેષ્ઠ શિક્ષક મિત્રોને તેમની કામગીરી બદલ એવોર્ડ આપી બિરદાવ્યા હતા. માનનીય શ્રી કેયુરભાઈ રોકડિયાએ આજ રોજ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજે જેમનો જન્મદિવસ છે તેવા શ્રી રાધાકૃષ્ણનને યાદ કરીએ છે. ઉપસ્થિત તમામ મહાનુભાવો કે જેમની સાથે મેં કામ કર્યું છે તે સૌને નમસ્કાર. સૌ શિક્ષક મિત્રોને, કર્મચારી મિત્રોને આજના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. આ ભૂમિમાં ગુરુ-શિષ્ય પરંપરા અનંતકાળથી ગૌરવાન્વિત રીતે ચાલતી આવી છે અને તેમાંથી વ્યક્તિ શું ભગવાન પણ બાકાત નથી. ગુરુ પરંપરા વિના જીવનનો વિકાસ શક્ય નથી તેથી નમસ્કાર કરું છું. સમિતિના શિક્ષકોની જ મહેનત છે કે અધ્યક્ષશ્રી એ ગણાવેલી તમામ સિદ્ધિઓ પાછળ આપ સૌ બેઠેલા શિક્ષક મિત્રોનો પણ પરિશ્રમ છે તેને પણ બિરદાવું છું.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનાં પ્રમુખ અને અધ્યક્ષ ક્રમશઃ શ્રી પીનાકીનભાઈ પટેલ અને શ્રી કૃણાલભાઈ સુથારે પ્રસંગોચિત પોતાની વાતો રજુ કરી હતી.
મુખ્ય મહેમાન શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આપ શાળા કક્ષાએ મન મૂકીને કામ કરો અને બીજી કોઈ ચિંતા ના કરશો. કારણ કે,આપની ચિંતા એ અમારી ચિંતા છે. આપ સૌના પરિશ્રમથી જ સમિતિ અધ્યક્ષશ્રીના નેતૃત્વ હેઠળ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે. આપ સૌના પરિશ્રમથી જ બાળકોમાં સંસ્કારનો સિંચન થઈ રહ્યું છે. અને એ સંસ્કારના સિંચન થકી રાષ્ટ્ર પ્રગતિના પંથે વધશે. શિક્ષક એ સમાજનું ઘરેણું છે તેથી તેનું ગૌરવ જળવાય, તે પદની ગરીમા જવાય તે ખૂબ જરૂરી છે. અને આપના દ્વારા ચલાવવામાં આવતી શાળાઓ એ શાળાઓ નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણની પાયાની ઈંટ છે, એ શાળાઓ જ્ઞાનના મંદિર છે.આજના કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી જયેન્દ્રસિંહ જાદવે તેમના વક્તવ્યમાં ડો સર્વપલ્લી રાધાક્રિશ્નનના ગુણોને યાદ કરતા જણાવ્યું હતું કે, ડો સર્વપલ્લી રાધાક્રિશ્નન હંમેશા કહેતા કે હું સૌથી પહેલા શિક્ષક છું ત્યાર બાદ રાષ્ટ્રપતિ છું. આ સાથે તેઓએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં અમલીકરણમાં શિક્ષકનો કેટલો મહત્વનો ફાળો છે તે જણાવ્યું હતું. શિક્ષણનીતિ વોટ ટુ લર્ન નહીં પણ હાવ ટુ લર્ન તેની પર ભાર મૂકે છે. તેથી હવેના પરિવર્તનો પેડાગોજીકલ છે. શિક્ષણને માહિતીપ્રધાન ન બનાવતા કૌશલ્ય પ્રધાન બનાવવાનું છે. માહિતીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે નવી શિક્ષણનીતિનું હાર્દ છે. ઉપનિષદમાં શિક્ષક માટે અગ્રહાર શબ્દ વાપરવામાં આવ્યો છે એનો અર્થ છે કે હું અન્યથી કેટલો આગળ છું તેમાં વિદ્યાર્થી અને અન્ય શિક્ષકો કે અન્ય જ્ઞાની તમામનો સમાવેશ થાય છે. હવેનો સમય બાળકના મનને સમજવાનો સમય છે. મને આજે એક પ્રસંગ યાદ આવે છે કે જેમાં બાળક પુસ્તક વાંચતું હતું અને શિક્ષકે પૂછ્યું કે આ તો હું તને ભણાવવાનો છું. તેવા સમયે બાળકે જવાબ આપ્યો કે તમે બરાબર ભણાવો છો કે નહિ તે ચકાસવા હું પુસ્તક વાંચું છું. આ આજનું બાળક છે તેથી ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ તું મને એટલી શક્તિ આપ કે હું મારા બાળકને સમજી શકું. એમ કહી પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. મુખ્ય વક્તાના વક્તવ્ય બાદ નિવૃત શિક્ષક મિત્રોને તેમની આજીવન સેવા બદલ શાલ ઓઢાડીને અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અંતર્ગત વિજેતા શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પસંદ કરાયેલા પ્રતિભાશાળી બાળકોને પ્રતિભાશાળી વિદ્યાર્થીનો બેઝ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી ડો. હેમાંગ જોશી એ આભાર વિધિ કરતા સૌ પ્રથમ તેમણે ભારતમાતાનો જયઘોષ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં જે શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ બાલવાડી અને શ્રેષ્ઠ શિક્ષક મિત્રોના નામોની જાહેરાત કરવામાં આવી તે તમામ માટે આપણે શિક્ષણવિદોની સેવા લીધી હતી તેમજ અમારા સભ્યોએ પણ ભાગ લીધો હતો.અને આ પ્રક્રિયામાં જે જોડાયા હતા તે તમામનો હું આભાર માનું છું. સમિતિ સાથે ખુબ લાગણીપૂર્વક જોડાયેલા માનનીય મેયરશ્રી કેયુરભાઈ અને સાંસદશ્રી રંજનબેન, ગાંધીનગરથી આવેલા મુખ્ય વક્તા શ્રી જયેન્દ્રભાઈ જાદવ, અધ્યક્ષ શ્રી હિતેશભાઈ, શાસનાધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, તમામ સભ્યો કે જેઓ સતત શાળાઓની ચિંતા કરે છે અને એક લાગણીથી જોડાયેલા છે તેવા સૌ નો હું આભાર માનું છું. એથી વિશેષ કમિશનર શ્રી શાલીનીબેન અગ્રવાલ કે જે કાર્યક્રમની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ હાજર રહ્યા છે તેમનો પણ આભાર માનું છું. આ કાર્યક્રમની ગરીમા જાળવનાર બંને સંઘના પ્રતિનિધિઓનો પણ આભાર માનું છું. તમારા પ્રશ્નો લઈને જ્યારે હું અને અધ્યક્ષશ્રી ગાંધીનગર ગયા ત્યારે શિક્ષણ મંત્રીશ્રી એ અમને પૂરો દોઢ કલાક આપ્યો અને આપના પ્રશ્નો સાંભળ્યા હતા .
