શૈશવ રાવ



નીતિ આયોગના પેરામીટર્સ મુજબ શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સિંચાઇ, કૌશલ્ય વર્ધન, ફાઇનાન્સિયલ ઈન્કલુઝન સહિત માળખાગત સુવિધાઓ ક્ષેત્રે આજદિન સુધી હાંસલ કરાયેલ લક્ષ્યાંક સિધ્ધિની સમીક્ષા સાથે શ્રી અય્યરે પુરું પાડ્યું જરૂરી માર્ગદર્શન
કેન્દ્રીય નિતિ આયોગના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર-(CEO) શ્રી પરમેશ્વરમ અય્યરે આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર (કેવડીયા કોલોની) ના સરકીટ હાઉસ ખાતે નર્મદા અને દાહોદ જિલ્લા પ્રસાશનના જિલ્લા કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા આયોજન અધિકારીશ્રીઓ સહિત આ બન્ને જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત આ જિલ્લાઓમાં કેન્દ્રીય નીતિ આયોગના પેરામીટર્સ મુજબ શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સિંચાઇ, કૌશલ્ય વર્ધન, ફાઇનાન્સિયલ ઈન્કલુઝન સહિત માળખાગત સુવિધાઓ ક્ષેત્રે આજદિન સુધી હાંસલ કરાયેલ લક્ષ્યાંક સિધ્ધિની સમીક્ષા કરી હતી અને નિયત પેરામીટર્સ મુજબની લક્ષ્યાંક સિધ્ધિ માટે તેમણે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ બેઠકમાં CEO શ્રી પરમેશ્વરમ અય્યરની સાથે નિતિ આયોગના શ્રી રાકેશ રંજન, શ્રી જુગલ જોશી અને સુશ્રી નિલમ પટેલ પણ જોડાયાં હતાં.
નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, દાહોદ જિલ્લા કલેકટરશ્રી ડૉ.હર્ષિત ગોસાવી, નર્મદા જિલ્લા વિકાસ અધિકારશ્રી અંકિત પન્નુ અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નર્મદાના જિલ્લા આયોજન અધિકારીશ્રી શશાંક પાંડે અને દાહોદના જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.જે.પંડ્યા સહિત બન્ને જિલ્લાના શિક્ષણ, આરોગ્ય-પોષણ, કૃષિ-સિંચાઇ, પશુપાલન, ઔદ્યોગિક તાલીમ, પાણી પુરવઠા-વાસ્મો વગેરે જેવા વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય નિતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારીશ્રી પરમેશ્વરમ અય્યરના અધ્યક્ષપદે યોજાયેલી ઉક્ત સમીક્ષા બેઠકમાં નર્મદા અને દાહોદ જિલ્લા પ્રસાશન દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત આજદિન સુધી થયેલી કામગીરી-સિધ્ધિઓ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જરૂરી આંકડાકીય વિગતો સાથેની જાણકારી નીતિ આયોગની ઉક્ત ટીમને પુરી પડાઇ હતી.
આ બેઠકબાદ કેન્દ્રીય નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારીશ્રી પરમેશ્વરમ અય્યરના વડપણ હેઠળની નીતિ આયોગની ટુકડી એકતાનગર (કેવડીયા કોલોની) ખાતે વિરભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારા માટે નર્મદા જિલ્લા પ્રસાશન દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો પૈકીના ડીજીટલ એજ્યુકેશન અંતર્ગત શાળામાં કાર્યકરત બે સ્માર્ટ ક્લાસ રૂમની મુલાકાત લઇ સ્માર્ટ ક્લાસ રૂમ શિક્ષણમા કઇ રીતે મદદરૂપ બની શકે છે અને તેનાથી નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થયેલા ફાયદા સંદર્ભે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત અને સુંદર માહિતી-જાણકારી અપાઇ હતી. શ્રી પરમેશ્વરમે શાળાના બાળકો દ્વારા સ્માર્ટ ક્લાસરૂમના કરાતા ઉપયોગ અંગે પણ બાળકો સાથે પૃછા કરીને જાણકારી મેળવી હતી.
ત્યારબાદ નિતી આયોગની ટુકડીએ ગરૂડેશ્વર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની મુલાકાત લઇ ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓનું નિરિક્ષણ કરી તેનું મુલ્યાંકન કર્યું હતું. તેમજ આ હોસ્પિટલમાં વિવિધ રોગોમાં અપાતી સારવારની વિગતોનો તેમણે તાગ મેળવ્યો હતો અને વિવિધ વોર્ડમાં સારવાર હેઠળના દરદીઓની મુલાકાત લઇ ખબર-અંતર પુછ્યાં હતા અને પ્રસૃતિ વિભાગમાં પ્રસૃતા માતાઓને પોષણ કિટ્સનું વિતરણ કર્યું હતું.
ત્યારબાદ નવાવાધપુરા ગામના આંગણવાડી કેન્દ્રની પણ તેમણે મુલાકાત લીધી હતી. નિતી આયોગની ટુકડીએ ગરૂડેશ્વર તાલુકામાં અર્લી ચાઇલ્ડ હુડ કેર-ડે કાર્યક્રમના કરાયેલ અમલ સહિત સગર્ભા ધાત્રીમાતાઓને પોષણ સુધા યોજના અંતર્ગત એક સમયના ગરમ આહાર અને છ માસથી ત્રણ વર્ષના ભૂલકાંઓને ટેક હોમ રાશન તરીકે અપાતા પુરક પોષણ ઉપરાંત મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના હેઠળ લાભાર્થીઓને અપાતા લાભની જાણકારી સાથે વાકેફ કરાયાં હતાં.

