
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9મી સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્રબોસની પ્રતિમાનું અનાવરણ કરીને ‘કર્તવ્ય પથ’નું ઉદ્ઘાટન કર્યું હતું.
તેના નિર્માણમાં સામેલ શ્રમ દળ સાથે વાતચીત કરતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર માટે તેમના પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી કહ્યું, “કર્તવ્ય પથ એ માત્ર ઈંટો અને પથ્થરોનો માર્ગ નથી. તે ભારતના ભૂતકાળના અને સર્વકાલીન આદર્શો તથા લોકશાહીનો જીવંત માર્ગ છે.”
સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, કર્તવ્ય પથના કાયાકલ્પ અને પુનઃવિકાસ માટે જવાબદાર એજન્સીએ ખૂબ જ ચુસ્ત સમયમર્યાદામાં પડકારરૂપ કાર્યને અંજામ આપ્યો હતો. કર્તવ્ય પથ પર કામ માર્ચ, 2021માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેનો પ્રથમ તબક્કો 26 જાન્યુઆરી, 2022ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પૂર્ણ થયો હતો.

ગ્રેનાઈટથી બનેલી ફૂટપાથની કુલ લંબાઈ 16.5 કિમી છે. 300 CCTV કેમેરા, બેસવા માટે 422 પથ્થરની બેન્ચ, અનેક ટ્વીનસ્ટોન ડસ્ટબિન, સેવાઓ માટે લગભગ 165 કિમીની ભૂગર્ભ પાઈપલાઈન અને ભારે વરસાદના પાણીના નિકાલ માટે 10 કિમીની ભૂગર્ભ ગટર સાથે, મધ્ય માર્ગનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું છે તથા, કુદરતી દૃશ્યો સાથે આકર્ષક બનાવવામાં આવ્યું છે.

