દેશમાં આંતરિક શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસની ભૂમિકા ખૂબ મહત્વની છે. કયારેક ફરજ દરમ્યાન પોલીસ અને પેરા મિલીટરી ફોર્સના જવાનો પોતાના પ્રાણ ન્યોછાવર કરતાં હોય છે. આવા શહીદ થયેલા પોલીસ કર્મીઓને ગાંધીનગર નજીક ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ ખાતે યોજાયેલ પોલીસ સંભારણા (શહિદ) દિને શ્રધ્ધા સુમન અર્પણ કરવાના સમારંભમાં વીર પોલીસ જવાનોને શ્રધ્ધાજંલિ અને સલામી આપીને ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણો દેશમાં લોકશાહી છે. લોકશાહીમાં પ્રજાની સુરક્ષા- રક્ષા કરવાની જવાબદારીને સરકાર પ્રથમ પ્રાધાન્ય આપે છે. આપણા દેશમાં આંતરિક સુરક્ષા- શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની જવાબદારી પોલીસ પર રહેલી છે. જવાબદારી અને નિષ્ઠાથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ફરજ દરમ્યાન કયારેક પોતાના પ્રાણ પણ ગુમાવવા પડે છે. ખાખીના જતન, ખુમારી અને આંતરિક રક્ષણ માટે પ્રાણની આહુતિ આપેલ પોલીસ જવાનોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવા આજે સમગ્ર દેશમાં પોલીસ સંભારણા (શહિદ) દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવું કહી વીરગતિ પામનાર સર્વે પોલીસ જવાનોને તેમણે શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી.ગૃહ રાજય મંત્રીશ્રીએ પોલીસે કોરોના મહાબિમારીમાં કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ પણ ખૂબ જ નિષ્ઠાથી અદા કરી રહી છે. આ ફરજના કારણે આજે નાગરિકો માન-સન્માન સાથે સલામી આપી રહ્યા છે. પોલીસની ફરજોને પણ બિરદાવી છે. કોરોના મહાબિમારીમાં પણ અનેક પોલીસ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા પોલીસ જવાનોને પણ સલામી આપીને શ્રધ્ધાજંલિ આપી હતી.આ પ્રસંગે ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી આશિષભાઇ ભાટિયાએ પણ પોલીસ જવાનોને પુષ્પાજંલિ અર્પણ કરી સલામી આપી હતી. તેમજ રાજયના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનોએ પણ પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી.આ કાર્યક્રમાં રાજયના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






