
સંભવત: કોરોનાની લહેરનો સામનો કરવા માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્યતંત્ર સજ્જ: આરોગ્યમંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલ


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સઘન રસીકરણથી કર્યા સુરક્ષિત, નાગરિકોએ ગભરાવાની જરૂર નથીઃ આરોગ્યમંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલ
¤ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં કોવિડની સુવિધાઓની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ
¤ આરોગ્યમંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મોકડ્રીલમાં સહભાગી બનીને તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી
¤ રાજ્યમાં રસીકરણની કામગીરી વધુ વેગવાન બનાવાશે: રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, કેન્દ્ર સરકાર પાસેથી વધુ ૧૨ લાખ ડોઝની માંગણી કરાઈ
¤ રાજ્યમાં એક લાખથી વધુ બેડ સહિત વેન્ટીલેટર, ઓક્સિજન પ્લાન્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ: જરૂર પડ્યે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે









કોરોના મહામારીનો સામનો કરવા વહીવટીતંત્રની સુસજ્જતા અંગે ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે આજે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
મોકડ્રીલ બાદ મંત્રીશ્રીએ મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને ૧૫ થી ૧૬ હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તકેદારીના ભાગરૂપે કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી માટે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં આજે મોકડ્રીલનું આયોજન કરાયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર પાસે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે કેન્દ્ર સરકાર પાસે ૧૨ લાખથી વધુ ડોઝની માંગણી કરી છે. આ જથ્થો ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે. પ્રિકોશન ડોઝ આપવા માટે ખાસ ડ્રાઈવનું રાજ્યવ્યાપી આયોજન કરાશે, ત્યારે જે નાગરિકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેઓએ સત્વરે આ ડોઝ લઈ લેવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સઘન રસીકરણથી સુરક્ષિત કર્યાં છે, આથી નાગરિકો એ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહીને તકેદારી રાખવી અત્યંત અનિવાર્ય છે. કોવિડ અંગેની માર્ગદર્શિકાનું તમામ નાગરિકોએ ચુસ્ત પાલન કરવું અત્યંત જરૂરી છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા તાલીમબદ્ધ માનવબળ મળી રહે એ માટે નર્સીંગ અને પેરામેડીકલ આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કરાયા છે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થતિ રહ્યાં હતાં. મોકડ્રીલ દરમિયાન સિવીલ હોસ્પિટલ, ગાંધીનગરના તબીબો, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી મંત્રીશ્રીને જરૂરી વિગતો આપી હતી.

