








સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ડો.નલિન કાન્ત ટાઉન હોલ ખાતે સાંસદ શ્રીમતિ રમિલાબેન બારાની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો. આ કાર્યક્ર્મમાં ૭૫૭ સ્વ-સહાય જુથોને રૂ. ૧૧૨૭/- લાખની સહાય ચૂકવાઇ આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હિરાબાને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવી હતી.
આ પ્રસંગે શ્રીમતિ રમિલાબેન બારાએ જણાવ્યું હતું કે, ભારતીય મહિલાઓ આજે આગળ વધી છે. ઇતિહાસમાં આપણે મહિલાઓનું સ્થાન ખુબ ઉંચુ હતું. આપણો સમાજ પુરૂષ પ્રધાન છે, પરંતુ આજે મહિલાઓ પુરૂષ સમોવડી બની છે. એથી વધુ તેમને જણાવ્યું કે સ્ત્રી એટલે ઘર, સ્ત્રીના હોવાથી જ સમાજનું નિર્માણ થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી દીકરીઓના શિક્ષણ માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો. દીકરીઓને મુસાફરી પાસ, ફી, સાયકલ થી લઈ સ્ટેશનરી વગેરે ઉપલબ્ધ કરાવી શિક્ષિત કરી છે. આ શિક્ષિત દીકરી આજે પગભર બની છે. પૈસા કમાવા માટે સરકારી નોકરી જરૂરી નથી પરંતુ પોતાની આવડતથી નાનો મોટો વ્યવસાય પણ વિકસાવી શકે છે. જેના માટે સરકારે તેમના માટે લોન-ધિરાણની વ્યવસ્થા પણ કરી છે. મહિલાઓ દ્વારા ઉત્પાદિત માલ સામાનને વેચાણ માટે બજાર પણ ઊભું કરી આપ્યું છે. આમ સરકાર દ્વારા મહિલાઓને સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણની શરૂઆત કરવામાં આવી તે પહેલા મહિલાઓ ઘર સાચવતી હતી અને તેમની પાસે પૈસો પણ ન હતો. ક્યારેક પરિવારમાં કોઈ આકસ્મિક ખર્ચ આવી પડે તો મહિલા પોતાના ઘરેણા વેચીને તે ખર્ચને પહોંચી વળતી હતી. જ્યારે આજે સ્વ-સહાય જૂથો થકી મહિલાઓ પૈસા કમાઈ રહી છે. સાથે બેંક દ્વારા તેમને લોન આપવામાં આવી રહી છે સરકાર દ્વારા મહિલાઓને નવા નવા પ્લેટફોર્મ પૂરા પાડવામાં આવી રહ્યા છે ચૂલાથી ચોરા સુધી મહિલાઓને લાવવાની કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જે ખૂબ જ સરાહનીય છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ અંગે અને મિશન મંગલમ થકી સરકાર દ્વારા તાલીમબધ્ધ કરી આર્થિક પગભર કરવાના પ્રયાસને વખાણ્યા હતા. તેમજ સમાજમાં મહિલાઓની ભાગીદારી અને વિકાસમાં સિંહ ફાળાની સરાહના કરી હતી.
હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે સામાન્ય પરિવારની ઓછી શિક્ષણ મેળવેલ મહિલાઓ મિશન મંગલમ થકી તાલીમબધ્ધ બને અને પોતાની આસપાસ અન્ય બહેનોને પણ આનો વધુમાં વધુ લાભ અપાવવા પ્રયત્ન કરી જેથી સ્વયં પણ સક્ષમ બની અને અન્યને પણ સક્ષમ બનાવવા તક આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ૧૦ સ્વ-સહાય જૂથોના સભ્યોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ નવી સખી સહાયકોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મમાં ડી.આર.ડી.એ. નિયામકશ્રી પાટીદાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ, સ્વ સહાય જૂથની મહિલાઓ અને ડી.આર.ડી.એ.નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

