





મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા સરાયા ગામના વતની અને ૯માં ધોરણ સુધી ભણેલા રજનીકાંત રાઘવજીભાઈ ઢેઢીએ બનાવેલ દાંતી કમ રાપ ની કૃતિ દિલ્હી ખાતે માનનિય રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલી ૧૧ મી રાષ્ટ્રીય તૃણમુલ નવપ્રવર્તન તથા વિશિષ્ટ પારંપરિક જ્ઞાન પુરસ્કાર સમારોહમાં પંસદગી પામી છે. તેમણે કોઠાસુઝથી બનાવેલી આ કૃતિ દેશ ભરમાંથી આવેલી ૧૩૦ કૃતિઓમાંથી ટોપ ૨૫ કૃતિમા સ્થાન મેળવનાર ગુજરાત રાજયમાં એક માત્ર કૃતિ છે.
રજનીકાંત રાઘવજીભાઈ ઢેઢીએ બનાવેલ સાંતીથી એક સાથે બે કામ થાય છે તેમજ રાંપ અને દાંતા બદલવાની માથાકૂટથી ખેડૂતોને રાહત મળે છે. આમ, આ સાંતીથી ડિઝલ, સમય અને શ્રમની બચત થાય છે. સામાન્ય રીતે ખેડૂતોએ સાંતીમાં દાંતા લગાવ્યા હોય અને એનું કામ પુરૂ થાય ત્યારે રાપ લગાવવી હોય તો સૌ પ્રથમ દાંતાને ખોલવા પડે છે અને પછી રાપ લાગે છે. જ્યારે રજનીકાંતભાઇએ બનાવેલ સાંતીમા એક સાથે રાંપ અને દાંતા લાગી જાય છે. જેમાં ખેડૂતો ગણતરીની સેકન્ડોમાં જ રાપ અને દાંતા બદલી શકે છે. આ ઉપરાંત ઢેફા ભાંગવાનો પાટો પણ સાથે લાગી જાય છે. આ કારણે એક સાથે બે કામ થાય છે અને ડિઝલ અને સમયની બચત થાય છે. સરાયા ખાતે રજનીકાંત પટેલ ૧૦ વીઘા જમીનમાં ખેતી કરે છે. આ સાથે ફેબ્રીકેશન એન્ડ એગ્રીકલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લોખંડના ખાટલા, ઘોડીયા તેમજ ખેતીના વિવિધ ઓજારો બનાવવાનું કામ પણ કરે છે.
