શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરાયાઃ
ઉભરાટ ખાતે રૂા.૨૦૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જાહેરત કરતા મુખ્યમંત્રીશ્રી
સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સુરત શહેરે અનેકક્ષેત્રોમાં વિવિધ એવોર્ડ મેળવીને ગુજરાતની આબરૂ વધારી છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરત મનપાએ રૂા.૨૦ હજારના કરોડના વિકાસકામો કરીને સમગ્ર ગુજરાત માટે દાખલો બેસાડયો છે જે બદલ તેમણે પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સૂરતવાસીઓની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.૪૩૧.૩૨ કરોડના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના રૂ.૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યુ હતું. સાથે સુરતના ઉભરાટ ખાતે રૂા.૨૦૦ કરોડના ખર્ચે નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. જેનાથી ખજોદ ડ્રીમસીટી, ડુમસ, મગદલ્લા, સુલતાનાબાદ, મરોલી, ભીમપોર સહિતના ગામોને જોડતા બ્રિજ બનવાથી સૂરતનો વિકાસ વધુ તેજ બનશે.
સૂરતના સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૂરત ડ્રીમસીટી, સ્માર્ટ સીટી, બ્રિજ સીટી સાથે અનેકક્ષેત્રોમાં વિકાસનો પર્યાય બન્યું છે. સુરતની કોર્પોરેશને પ્રજાની અપેક્ષા-આકાંક્ષાઓને ખરા અર્થમાં સાકારિત કરી છે. સામાન્ય માનવીને રહેવા અને માણવા ગાયક સીટી બને તેવી ગટર, પાણી, આવાસ, આરોગ્ય જેવી અનેક સુખ-સુવિધાઓ ઉભી કરી છે. જેના કારણે સુરત રહેવાલાયક શહેરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કચરોનો યોગ્ય નિકાલ થાય, પાણીનો રી-યુઝ થાય, ટર્શરીવોટર જેવા પ્લાન્ટ શરૂ કરીને પર્યાવરણની સાચા અર્થમાં કાળજી લઈને સમગ્ર દેશને નવી રાહ બતાવી છે.
રાજય સરકારે પારદર્શકતા સાથે ભ્રષ્ટાચાર મુકત શાસન વ્યવસ્થા સ્થાપિત થાય તે માટે ટેકનોલોજીને મહત્તમ ઉપયોગ કરીને ઓનલાઈન એન.એ., મકાન બાંધકામ માટેની મંજુરી, ટીપી-ડી.પી.પ્લાનની ઝડપી મંજુર, ઓનલાઈન દાખલાઓ જેવા અનેકવિધ નિર્ણયો કરીને વિકાસની ગતિ વધુ તેજ બનાવી છે.
છેલ્લા મહિનાઓ દરમિયાન વડાપ્રધાનશ્રીના હસ્તે ગુજરાતમાં થયેલા વિકાસકામોની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડુતોને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાતે વિવિધ પ્રકલ્પો, સી-પ્લેન, ગીરનાર રોપ-વે, હજીરા રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરીને સમગ્ર દેશમાં નવા કિર્તીમાનો સ્થાપિત કર્યા છે.
કોગ્રેસના શાસનકાળ દરમિયાન ખાતમુહૂર્તના નાટકો થતા હતા. યોજના શરૂ થયા બાદ વર્ષો બાદ પણ પૂર્ણ થતી ન્હોતી તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ રાજય સરકાર જે વિકાસકામોનું ખાતમુહૂર્ત કરે છે તેનું નિયત સમયમર્યાદામાં લોકાર્પિત કરે છે. જે અભિમાન નહી પણ પધ્ધતિસરની વ્યવસ્થા ઉભી કરી છે તેનું પરિણામ છે. યોજનાની તાંત્રિક, નાણાકીય, ટેન્ડરની મંજુરી તત્કાલ આપીને ખાતમુહૂર્ત કર્યા બાદ સમયમર્યાદામાં વિકાસકામો પૂર્ણ થાય તેવી વ્યવસ્થા રાજય સરકારની રહી છે.
કોરોના કાળમાં ગુજરાત સરકારે કોરોના સામે જંગ ખેલીને સુયોગ્ય પગલાઓ લઈને કોરોના પર લગામ લગાવી છે. જેના કારણે રિકવર્રી રેટમાં વધારો, ઝડપી ડિચાર્જ, ડેથ રેટમાં ધટાડો નોંધાયો છે. જેની નોંધ ડબ્લયુ.એસ.ઓ., આઈ.આઈ.એમ., આઈ.સી.એમ.આર. જેવી ઉચ્ચ સંસ્થાઓએ લઈને ગુજરાતની કોરોનાની કામગીરીને બિરદાવી છે હોવાનું તેમણે જણાવ્યું હતું.
કોરોના કાળમાં ગુજરાતની આવક ધટી હોવા છતા પૈસાની ચિંતા કર્યા વિના રૂા.૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર યોજના શરૂ કરી છે. છેલ્લા પાંચ-છ મહિના દરમિયાન સમગ્ર ગુજરાતમાં રૂા.૨૦ હજાર કરોડના જનવિકાસલક્ષી કાર્યો શરૂ કરીને રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્કૂલ, વાંચનાલય, ઈ-બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકોર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રૂા. ૪૩૧.૩ર કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં NRCP યોજના અંતર્ગતના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત EWSના આવાસો, લિંબાયત-ડીંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ તથા નગર પ્રાથમિક શાળા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, આંગણવાડી, કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ જૂન-૨૦૧૮ થી ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી દર્શાવતી “વિકાસયાત્રા” પુસ્તિકાનું વિમોચન કર્યું હતું
આ વેળાએ સાસંદ શ્રીસીઆર પાટીલે જણાવ્યું હતુ કે, સંવેદશીલ મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકોને ગ્રેડ પેમાં વધારો કરીને તેઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવ્યા છે. આ ઉપરાંત આવાસ યોજનાઓમાં દસ્તાવેજમાં મહિલાઓનું નામ ન હોવાના કારણે સબસીડી મળતી ન હતી પરંતુ તેમાં પણ સુધારો કરીને માત્ર રૂા.૧૦૦ના સ્ટેમ્પ પેપર દ્વારા નામ દાખલ કરવાથી સબસીડીનો લાભ મળતો થશે જેવા પ્રજાલક્ષી નિર્ણયો કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મેયરશ્રી ડો.જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ સર્વજન સુખાય સર્વજન હિતાયના સૂત્રને સાર્થક કરીને સુરત મહાનરગપાલિકાએ અનેક પ્રજાલક્ષી વિકાસકાર્યોની ભેટ આપી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શ્રમિકોને પાસ, ઈલેકટ્રીક બસો, ટર્શરીપ્લાન્ટ જેવા પ્રજાસુખાકારીના કરવામાં આવેલા અનેકવિધ વિકાસકામોની રૂપરેખા આપી હતી.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ તથા આભારવિધિ ડે.મેયરશ્રી નિરવ શાહે આટોપી હતી.
આ વેળાએ વન, આદિજાતિ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા,આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








