
*જામનગર ( ભરત ભોગાયતા)
જાન્યુઆરી ૨૦૨૪માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જામનગરનું આયોજન લેઉઆ પટેલ સમાજ, રણજીતનગર ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટનું બીજ રોપ્યું હતું. વર્ષ ૨૦૨૪માં ૧૦મી વાઇબ્રન્ટ સમિટનું સરકાર દ્વારા વિશાળ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે.રાજ્યના લોકોમાં વાઇબ્રન્ટ સમિટને લઈને જાગૃતતા આવે તે હેતુથી ઓકટોબર મહિના દરમિયાન તમામ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં જિલ્લાની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડકટસનું બ્રાન્ડિંગ થાય તે મુખ્ય હેતુ છે. જામનગર જિલ્લો બાંધણી, બ્રાસપાટ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. તાજેતરમાં જ જામનગરની બાંધણીને જીઆઇ ટેગ મળ્યો છે જે આપણા સૌ માટે ગર્વની વાત કહી શકાય. જિલ્લામાં ૭૦૦૦ જેટલા બ્રાસપાર્ટ્સનું ઉત્પાદન કરતા એકમો આવેલા છે. તેમજ ૧૦૦૦ જેટલી નાની મોટી ભઠ્ઠીઓ આવેલી છે. ચંદ્રયાન -૨ ના સફળ લોંચિંગમાં પણ જામનગરનો મહત્વનો ફાળો રહ્યો હતો. જામનગરની ગીતા મશીન્સ ટુલ્સ કંપની દ્વારા ચંદ્રયાનનો પાર્ટ બનાવવામાં આવ્યો છે જેની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ છે. એશિયાની સૌથી મોટી રિફાઈનરી ૭૫૦૦ એકરમાં ફેલાયેલ છે જેના થકી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. જામનગરમાં મીઠાનું પણ બહોળા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લામાં મીઠાનું ૮,૨૬,૩૦૦ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે.



મો. મોરજર રોન્યુએબલ્સ પ્રા.લી, મે. જય દ્વારકાધીશ સ્પિનટેક્ષ પ્રા.લી, મે. ઓપવીન્ડ એનર્જી પ્રા. લી. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર શ્રી પી.બી.પટેલ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા જેના થકી જામનગરમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. વાઇબ્રન્ટ જામનગર કાર્યક્રમમાં વિવિધ કંપનીઓ વચ્ચે રૂ.૩૨૩૬ કરોડના કુલ ૪૯ એમઓયુ કરવામા આવ્યા હતા.
આ કાયક્રમમાં પી.એમ. વિશ્વકર્મા યોજના, માનવ કલ્યાણ અને એમએસએમઇ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બ્રાન્ડિંગના ૨૬ સ્ટોલના પ્રદર્શનને કેબિનેટમંત્રીશ્રીએ ખુલ્લું મૂક્યું હતું. અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં હાજર મહેમાનોએ જામનગર જિલ્લાના ઉદ્યોગોમાં બનતી વસ્તુઓ અને બ્રાસપાર્ટ્સ અંગેની ફિલ્મ નિહાળી હતી. તેમજ મહાનુભાવોનું મિલેટ્સ બાસ્કેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કલેકટર શ્રી બી.એ. શાહ દ્વારા તથા શહેર પ્રાંત અધિકારીશ્રી પ્રશાંત પરમાર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, અગ્રણીશ્રીઓ રમેશભાઈ મુંગરા, શ્રી ડો.વિમલભાઈ કગથરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એનએફચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર શ્રી પ્રકાશ બી.પટેલ, મામલતદારશ્રી માકડિયા, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી બીપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રી લાખાભાઇ કેશવાલા, જીઆઇડીસી ફેઝ-૨ એસો.ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ડાંગરિયા, અન્ય એસો.ના પ્રમુખો, દ્વારકા જીએમડીસીના જનરલ મેનેજર શ્રી એસ.કે.જોશી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ઉદ્યોગકારો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
