મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ૨૦મી ‘ન્યુરો અપડેટ ૨૦૨૩’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ૨૦મી ‘ન્યુરો અપડેટ ૨૦૨૩’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.

આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ થકી આજે દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. પહેલાં નાના માણસ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ મેળવવી આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મુશ્કેલ હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. ₹5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડતી આ યોજનાનું આયુષ્યમાન કાર્ડ ખરાં અર્થમાં આરોગ્ય ક્ષેત્રે દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વાસ્થ્ય ગેરંટી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને ન્યુરોલોજી કોન્ફરન્સ સંદર્ભે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસના ધ્યેય સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 20 વર્ષ પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આરોગ્ય, ફાર્મા, કેમિકલ સહિત દરેક ક્ષેત્રે આજે આ ગ્લોબલ સમિટના ફળ આપણે મેળવી રહ્યાં છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે આપણે આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધી દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવાની દિશામાં અત્યારે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓના દ્વારે પહોંચી રહી છે અને દરેકે દરેક પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેના લાભો હાથોહાથ મળી રહ્યા છે. આ રીતે દેશની વિકાસયાત્રામાં દરેક નાગરિક જોડાશે, દરેકનો સર્વાંગી વિકાસ થશે અને આપણે વિકસિત ભારતના આપણા સંકલ્પને સાકાર કરી શકીશું, એમ તેમણે ઉમેર્યું હતું.

આજની આ ન્યુરોલોજી કોન્ફરન્સમાં થનારા ચિંતન, મનન અને હકારાત્મક ચર્ચા વિચારણા ન્યુરોલોજી અને મેડિકલ ક્ષેત્રને ચોક્કસપણે મદદરૂપ બનશે, એવી આશા વ્યક્ત કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આવી વિવિધ કોન્ફરન્સ થકી સરકારને પણ ઘણીવાર પોલિસી મેકિંગ માટે હકારાત્મક સૂચનો પ્રાપ્ત થતાં હોય છે.

આ કોન્ફરન્સ અંતર્ગત ‘પ્રેગ્મેટિક એપ્રોચ ઈન ન્યુરોલોજી’ વિષય પર ન્યુરોલોજી સાથે સંકળાયેલા દેશના જાણીતા ડૉક્ટર્સનાં વક્તવ્યો અને ચર્ચાસભાઓ યોજાશે.

આ કોન્ફરન્સમાં NHL મેડિકલ કોલેજના ડીન ડો. ચેરી શાહ, શહેરના જાણીતા ન્યુરોલોજિસ્ટ ડો. સુધીર શાહ, અમદાવાદ એસોસિયેશન ઓફ ફિઝિશિયનના સભ્ય ડૉક્ટર્સ તથા અમદાવાદ સહિત દેશભરમાંથી જાણીતા ન્યુરોલોજી ડૉક્ટર્સ, પ્રોફેસર્સ અને ન્યુરોલોજી સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સ સહભાગી થયા હતા.


KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM