
સૃષ્ટિ સંહારના અધિષ્ઠાતા દેવ,પ્રલયકારી દેવ એટલે શિવ, શિવજીને મહા માસની અંધારી ચૌદશ રાત્રિ અતિ પ્રિય છે તેથી તેને મહાશિવરાત્રિ કહેવાય છે.
મહા વદ ચૌદસને દિવસે આવતી મહાશિવરાત્રિ માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સૃષ્ટિને શિવત્વનો સંદેશ સંભળાવે છે. મહાશિવરાત્રીએ દ્વાદશ જયોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પતિ થઇ હતી. વળી, દ્વાપર યુગનો પ્રારંભ પણ આ જ દિવસે થયો હતો તેથી આ દિવસનો ઘણો મહિમા છે.
આ દિવસની એક સુંદર પૌરાણિક કથા તો આપણે જાણીએ જ છીએ. ગુરુયુહ નામે એક પારધિ શિકાર કરી ગુજરાન ચલાવતો. એક વખત તે બીલીના વૃક્ષ પર ચડી મોડી રાત સુધી શિકારની પ્રતિક્ષા કરતો રહ્યો. એ રાત્રિ મહાશિવરાત્રીની હતી. રાત્રી વીતવા લાગી ત્યાંજ એક મૃગલી પાણી પીવા આવી તેને જોઇ પારધિએ તેને હણવા ધનુષ્ય તૈયાર કર્યું, પરંતુ હરણીની આજીજી સાંભળી,તેના વચન પર વિશ્વાસ રાખી પારધિ હરણીને તેનાં બાળકોને મળવા જવાની રજા આપે છે. હરણીની રાહ જોતો શિકારી આખી રાત બીલીના વૃક્ષ પર બેસી રહે છે અને બિલિપત્ર તોડી તોડી નીચે નાખે છે. તે બીલીપત્રો વૃક્ષ નીચેના શિવલિંગ પર પડયા કરે છે.આમ રાતભરનું જાગરણ અને બિલિપત્રથી શિવલિંગનું અનાયાસે જ પૂજન થઇ જાય છે. પારધિનું ચિત્ત શુધ્ધ થાય છે. ત્યાંજ સવાર પડતા જ હરણીને આખા પરિવાર સાથે આવેલી જોઇ તેનું હૃદય દ્રવિત થઇ જાય છે. હરણાંઓનું વચન પાલન તેનું હૃદય પરિર્વતન કરે છે અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે.
સરસ્વતી સ્કુલનાં સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણી વધુમાં ઉમેરે છેકે, આવી કથાઓના શ્રવણ સાથે ભારતભરમાં મહાશિવરાત્રીના દિવસે બીલીપત્ર ચડાવીને તથા ઉપવાસ કરીને શિવ પૂજન કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ,શિવ પૂજન તથા જાગરણનું વિશેષ મહત્વ છે. શિવ પુરાણમાં આ વ્રતના નિયમો દર્શાવીને ભક્તોની શ્રધ્ધાને દ્દઢ કરવામાં આવી છે..
સરસ્વતી સ્કુલનાં સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણી જણાવે છે કે આ દિવસે ગિરનાર પર્વતની તળેટીમાં ખૂબ મોટો મેળો ભરાય છે. દેશવિદેશમાંથી માનવ મહેરામણ ઊમટી પડે છે.દિવસો અગાઉથી મેળાની તૈયારી રૂપે રસ્તા ઉપર અનેક વિધ દુકાનો નખાઇ જાય છે. આ મેળામાંથી જ કેટલાય ગરીબોને રોજીરોટી મળી રહે છે. દાતાઓ મેળામાં શ્રદ્ધાળુઓની સગવડ માટે પરબ,અન્નક્ષેત્ર વગેરે ખુલ્લા મુકાવે છે. સૌ ભેગા મળી શિવપૂજન કરે છે. સંન્યાસીઓના દર્શન કરે છે. દિગમ્બર સંન્યાસીઓ સરઘસ કાઢી છેવટે ભવનાથ મંદિર ખાતે આવેલા મૃગીકુંડમાં સ્નાન કરે છે અને કેટલાક તો કુંડમાં જ અદ્દશ્ય થઇ છે. ભકતો બહુ જ અહોભાવથી આ બધું નિહાળે છે અને પોતાને ધન્ય થયેલા માને છે.
સરસ્વતી સ્કુલનાં સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જ્ગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છેકે, શિવ એ જ્ઞાનના દેવ છે. તેમના મસ્તકમાંથી સદાય જ્ઞાનગંગા વહેતી રહે છે.ભગવાન શિવ હિમ આચ્છાદિત ધવલ ગિરિશૃંગ પર બેઠા છે. તેમાં જ્ઞાનની બેઠક વિશુધ્ધ હોવી જોઇએ એવું સૂચન રહેલું છે. વળી, કૈલાસના ઉચ્ચ શિખરે બિરાજતા શિવ એવું પણ સમજાવે છે કે ‘શિવ’ એટલે કે ‘કલ્યાણ’ને પામવા જીવનની ઉચ્ચ ભાવનાઓ સુધી પહોંચવું જોઇએ. શિવજી ત્રિલોચન છે. ત્રીજી આંખથી તેમણે કામદહન કર્યું હતું. તે સમજાવે છે કે સાચા જ્ઞાની પર થતાં કામના પ્રહારો પણ વ્યર્થ નીવડે છે. ભગવાન શિવ દિગંબર છે તેમણે દિશાઓનાં વસ્ત્ર ધારણ કર્યા છે. વિશ્વનો વૈભવ પગમાં પડયો હોવા છતાં ઉપભોગો માણવાની અલ્પ માત્ર ઇચ્છા પણ તેમને થતી નથી. સાદું જીવન અને ઉચ્ચ વિચારનું આથી મોટું ઉદાહરણ કયાં મળશે ? જ્ઞાનીપુરૂષે વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઇએ એ સૂચવવા ભગવાન શિવજી પોતાના શરીર પર ભસ્મનું લેપન કરે છે. તેમના હાથમાં રહેલુંતેમના હાથમાં રહેલું ત્રિશૂલ સજજનોને આશ્વાસન આપે છે અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે.
પ્રભુ સજજનોનું કલ્યાણ કરવા તથા દુર્જનોને હણવા સદા કટિબદ્ધ રહે છે. સંહારના દેવ શિવજીના હાથમાં શોભતું ડમરું સંગીતનું પ્રતીક છે. એવી દંતકથા છે કે મહિર્ષ પાણિનીને તેમના વ્યાકરણના બીજમંત્રો ડમરુના અવાજમાંથી સાંપડયા હતા. શિવ સર્પોને રમાડે છે. તેમ કામ,ક્રોધ,લોભ,મોહ,મદ એ વિશૈલા સર્પનું ઉદાતીકરણ કરવામાં આવે તો તે બાધક બનતા નથી,તેની જોડે આસાનીથી રમી શકાય.
શિવ નીલકંઠ છે.સમુદ્ર મંથનમાંથી નીકળેલુ અમૃત બધાએ પીધું પરંતુ ઝેર નીકળતાં જ બધા ભાગ્યા. સૃષ્ટિ કલ્યાણ માટે એ ઝેર શિવજીએ પી નાખ્યું. આમ, કોઇપણ કાર્યમાં, સમાજમાં ઝેર પીવાની,કડવા ઘૂંટડા પચાવવાની જવાબદારી મોટા માણસની છે. શિવજીએ બીજના ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો છે. બીજાના ગુણોને આ રીતે માથે ચડાવવાની હિંમત જ્ઞાનીને મહાનતા અર્પે છે. શિવમંદિરમાં પ્રવેશતી વખતે પહેલાં નંદી અને કાચબાને નમન કરીએ છીએ.નંદી શિવને વહન કરે છે.તેમ આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ. કાચબો સંયમનું પ્રતીક છે. શિવ પાસે જવું હોય તો જીવન સંયમી હોવું જોઇએ. ઇન્દ્રયોના ગુલામ હોય તે શિવને પામી શકે નહીં. ભગવાન શિવજી પર રહેલી જલધારી અને તેમાંથી ટપકતું ટીપું ટીપું પાણી સાતત્ય સૂચવે છે. ભગવાન પરનો આપણો ભક્તિ અભિષેક સતત ચાલુ રહેવો જોઇએ. શિવમંદિરમાં ગૌમુખને ન ઓળંગવાનું એક રહસ્ય છે. આપણે ગૌમુખનું ઉલ્લંઘન કરતા નથી તેને ઉલ્લંઘવાથી માણસ શક્તિહીન બની જાય તેથી શિવમંદિરમાં આપણે સંપૂર્ણ પ્રદક્ષિણા કરતા નથી.
સરસ્વતી સ્કુલનાં સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં એમ જણાવ્યું છેકે, રક્ષણ અને દુર્જનોનો સંહાર જેમનું વ્રત છે,જગતની રક્ષા માટે જેમણે વિષપાન કર્યું છે અને જે જીવને શિવ તરફ લઇ જાય છે. જગતના કલ્યાણના અને જ્ઞાનના જે સ્વરૂપ છે. એવા ભગવાન શિવ, દેવાધિદેવને અનંત નમસ્કાર.
