
ગુજરાતમા વર્ષોથી વન્યપ્રાણીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજયમાં વન્યપ્રાણીઓ જેવા કે સિંહ, દિપડા, કાળીયાર, ચિત્તલ અને ચોશિંગા વિગેરેનું જતન અને સંવર્ધન વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવામાં આવે છે. હાલમાં જ વન્ય પ્રાણીઓની વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ્સો એવો વધારો જોવા મળ્યો છે.




દક્ષિણ ગુજરાતમાં માંસાહારી પ્રાણીની ઉચ્ચ શ્રેણીની વન્યપ્રાણી પ્રજાતિમાં દિપડાઓ ખાસ કરીને જોવા મળે છે. હાલમાં તેમની સંખ્યામાં વધારો પણ નોંધાયો છે.
દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. દિપડાઓની સંખ્યામાં વધારો થવાથી માનવજાત સાથે ઘર્ષણના બનાવો પણ ક્યારેક બને છે. જેના કારણે માનવ અને દિપડાને પણ ઇજા થાય છે. ક્યારેક આવા વન્ય પ્રાણી કુવામાં પડી જાય, રસ્તામાં અકસ્માત થાય, ત્યારે ધાયલ થતા હોય છે. આવા વન્ય જીવો માનવવસ્તીમાં આવી ચડે ત્યારે તેને બચાવની કામગીરી પણ વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કરવામાં આવે છે.
દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક-નવતાડ ખાતે રાજય સરકાર દ્વારા મંજુર કરાયેલા મેટીગેશન પ્લાન મુજબ વન્ય પ્રાણીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુથી ‘વન્યજીવ ટ્રીટમેન્ટ સેન્ટર’ કાર્યરત કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં વન વિસ્તાર વધારે પ્રમાણમાં છે. અહીંના વિભાગ હેઠળનો વન વિસ્તાર પણ મોટો છે. જેમાં વન્ય પ્રાણી પણ વધારે જોવા મળે છે, અને જયારે તેમને કોઇ અકસ્માત નડે અથવા માનવ ધર્ષણ થાય, કે અન્ય રીતે ઇજા થયેથી તાત્કાલિક રેસ્ક્યુ કરવામા, અને તાત્કાલિક સારવાર આપવામાં આ સેન્ટર મદદરૂપ થશે.
