
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ માટે વધુ ફલાઈટો શરૂ કરવા માટે કરાયેલ રજુઆતોને મળેલ સફળતાઓ … રાજકોટ – સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો તથા પ્રજાજનો પોતાના કામકાજો તથા મેડિકલ ઈમરજન્સી માટે રાજકોટ – મુંબઈ તથા રાજકોટ – દિલ્હી વચ્ચે અવાર – નવાર એરલાઈન્સ દ્વારા મુસાફરી કરતા હોય છે . તેમજ દિન – પ્રતિદિન આ બંન્ને શહેરો વચ્ચે મુસાફરોની ટ્રાફિક સમસ્યા વધતી જાય છે . ત્યારે તેઓને વધુ સારી હવાઈ સેવા મળી રહે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અવાર – નવાર કેન્દ્ર તથા રાજય સરકારમાં વધુ એરલાઈન્સ સેવાઓ શરૂ કરવા રજુઆત કરવામાં આવેલ હતી . તેમજ તાજેતરમાં રાજકોટ ચેમ્બરના હોદેદારોએ રાજકોટ એરપોર્ટ ખાતે નવનિયુકત થયેલ ડાયરેકટરશ્રી દિગંત બોરા સાથે પણ રાજકોટ ચેમ્બર ઓફિસ ખાતે મિટીંગ યોજી રાજકોટ એરપોર્ટ પર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફીક રહેતો હોય તેને ધ્યાનમાં રાખી વધુ ફલાઈટો શરૂ કરવા તથા એરલાઈન્સની સુવિધા અર્થે રજુઆત કરવામાં આવેલ હતી .
રાજકોટ ચેમ્બરની આજ સુધીની રજુઆતના ફળ સ્વરૂપે સ્પાઈસ જેટ દ્વારા રાજકોટ – દિલ્હી તથા રાજકોટ – મુંબઈ અને રાજકોટ બેગ્લોરની વધુ ફલાઈટો શરૂ કરવામાં આવેલ છે . તેમજ સ્પાઈસ જેટ દ્વારા રાજકોટ – હૈદરાબાદ માટેની ફલાઈટ પણ ૭ માર્ચથી શરૂ કરવામાં આવશે . અને રાજકોટ – ગોવા માટે સ્પાઈસ જેટની ફલાઈટ તા .૧૭ માર્ચથી શરૂ કરવામાં આવશે . સાથોસાથ એરઈન્ડિયા દ્વારા પણ રાજકોટ મુંબઈ તથા રાજકોટ દિલ્હી માટેની ફલાઈટ પણ શરૂ કરવામાં આવેલ છે . હજુ રાજકોટ ચેમ્બર દ્વારા માંગણી કરાયેલ છે કે ઈન્ડીગો એરલાઈન્સ માટેની વધુ ૪ ફલાઈટો રાજકોટ – મુંબઈ તથા રાજકોટ – દિલ્હી માટે ફલાઈટો શરૂ કરે છે પણ આગામી માર્ચ માસના અંત સુધીમાં શરૂ થઈ જશે . સાથોસાથ રાજકોટના વેપાર – ઉદ્યોગકારોને પાર્સલ મોકલવા માટે એરકાર્ગોની સુવિધા પણ માર્ચ માસના અંતમાં શરૂ થઈ જશે . રાજકોટ ચેમ્બરની માંગણીઓનો સ્વીકાર થવાથી વેપાર – ઉદ્યોગકારો તથા આમ જનતામાં ખુશીની લાગણી પ્રસરી છે અને રાજકોટ – સૌરાષ્ટ્રના મુસાફરોને ફલાઈટના ભાડામાં પણ ઘણી રાહત થઈ જશે . આમ રાજકોટ – સૌરાષ્ટ્રના મુસાફરોને આવનારા સમયમાં વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તે માટે વારંવાર રજુઆતો અને માંગણીઓને સારો એવો પ્રતિસાદ સાંપડેલ છે . તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે .

