ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના અસરગ્રસ્તોની પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ સર.ટી. હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી
દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને તબીબી સેવાઓમાં કોઈ કચાશ ન રહે તે માટે મંત્રીશ્રીએ તબીબી અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશો
ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આજે સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા.
મંત્રીશ્રીએ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર અને આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રીએ અસરગ્રસ્ત દર્દીઓ સાથે વાતચીત કરી તેમની આરોગ્યલક્ષી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમજ દર્દીઓને આપવામાં આવી રહેલી તબીબી સારવાર, દવાઓ તથા અન્ય જરૂરી આરોગ્ય સેવાઓ અંગે તબીબી અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. સર.ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ કેરવી દેસાઈ સાથે મંત્રીશ્રીએ સારવારની સમગ્ર વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અસરગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ અને સમયસર સારવાર મળી રહે, સારવારમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તથા જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે મંત્રીશ્રીએ તબીબી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલ તંત્રને અસરગ્રસ્તોની સારવારને પ્રાથમિકતા આપી તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.
આ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ અને શ્રીમતી સેજલબેન પંડ્યા, ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી આર.બી. અસારી, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક ડૉ. નિતેષ પાંડેય, અગ્રણી કુમારભાઈ શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.