મેંદરડા ખાતે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અને સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે લાભાર્થી ખેડૂતોને મંજુરી હુકમનું વિતરણ તેમજ અન્ય ત્રણ યોજના લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આત્મનિર્ભર ગુજરાત પેકેજ અને સાત પગલા ખેડૂત કલ્યાણ હેઠળની ત્રણ યોજનાઓના લોન્ચિંગ તેમજ લાભાર્થીઓને પૂર્વમંજૂરી હુકમનો વિતરણ કાર્યક્રમ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના ને આવરી લઈને સાત પગલાં જાહેર કરવામાં આવ્યા છે.આ સાત પગલા અંતર્ગત ખેડૂતોના હિત માટેની વિવિધ યોજના બનાવવામાં આવી છે. મંત્રીશ્રી એ આ તકે લાભાર્થી ખેડૂતોને યોજનાના પૂર્વ મંજૂરી પત્રો નું વિતરણ તેમજ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર ના વિજેતા ખેડૂતોને સન્માનપત્ર અને શાલ વડે સન્માનિત કર્યા હતા. આ તકે પૂર્વ સંસદીય સચિવ શ્રી એલ.ટી.રાજાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મેંદરડા, વિસાવદર, કેશોદ અને માળિયા તાલુકાના નાના વેચાણકારો ને વિનામૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટ સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અગ્રણી શ્રી ગભરૂભાઈ લાલુ, શ્રી હમીરભાઇ માડમ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી તેમજ પદાધિકારીઓ અધિકારીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને યોજનાકીય માહિતી જૂનાગઢ નાયબ બાગાયત નિયામક એચ.સી.ઉસદડિયા, આભારવિધિ જૂનાગઢ નાયબ ખેતી નિયામક કે.જી પરસાણીયા એ કરી હતી.


