માનવીને પ્રેમ અને આત્મીયતાનો સથવારો મળી જાય તો વિકટ પરિસ્થિતિમાંથી પણ સહી- સલામત રીતે બહાર આવી શકે છે. મુશ્કેલીઓમાં તાકાત બનતા લાગણીના આ ભાવો અને તેમની અસરકારકતાં રાજકોટ કોવીડ હોસ્પિટલ અને સમરસ કોવીડ કેર સેન્ટર જેવા અનેક કોવીડ સેન્ટરોમાં જોવા મળી રહી છે. સારવાર શરૂ થાય ત્યારથી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી કોરોના પોઝીટીવ દર્દીઓ અને સ્ટાફ વચ્ચે બંધાયેલા માનવીય સેતુએ અનેક લોકોને જીંદગીની નવી રાહ આપી છે. સિવિલ હોસ્પિટલની સારવારથી જીંદગીનો બેડોપાર કરીને પોતાના બેડલા ગામે પરત ફરતાં દિનેશભાઈ સતાણીએ અશ્રુભીની આંખે વિદાય લેતા કહ્યું હતું કે, ” ડોક્ટરોની નિર્ભયતાએ મારો ભય દૂર કર્યો છે. કોરોના પોઝીટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી પરંતુ ત્યાં સ્વાસ્થ્ય ન સુધરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. આજે હું ઘરે જઈ રહ્યો છું તો સિવિલમાં મળેલી સારી સારવારને કારણે. પુરા તન-મનથી સ્ટાફે મારી સેવા કરી છે. મને મળેલું નવું જીવન આરોગ્ય કર્મીઓને આભારી છે.” રાજકોટના મિલપરા વિસ્તારમાં રહેતા અને સારવાર લઈને સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા કિશોરચંદ્ર ચાંદરાણીએ આરોગ્ય કર્મીઓ પર પ્રેમ અને આશિર્વાદ વરસાવતા કહ્યું હતું કે, “આમ તો હું ઉંમરમાં તેમના પિતા જેવી ઉંમરનો હઈશ. પણ મેડીકલ સ્ટાફના લોકોએ મને દિકરાની જેમ રાખ્યો છે. મારા પિતાના પ્રેમને અહીંના સ્ટાફે લોકોએ મારામાં ફરી એકવાર જીવંત કર્યો છે. હસમુખા સ્વભાવ સાથે સારવાર કરીને અમને ખુબ ઝડપથી સાજા કરી દીધા છે. તેમની સેવાથી મારા અંતર આત્માને જે શાંતિ મળી છે તે અવર્ણનીય છે. બસ એટલું જ કહીશ કે, આ કોરોનાને નબળો પાડવા બધા હસ્તા રહો.. મસ્ત રહો… આનંદ કરો અને આનંદ કરાવો. પછી તો નક્કી જ છે કે હારશે કોરોના, જીતશે રાજકોટ.” કિશોરચંદ્ર ભાઈની વાતને અનુમોદન આપતા ધર્મિષ્ઠાબેન સેજાણીએ ઉમેર્યું હતું કે, ” કોરોના પોઝીટીવ આવતા પહેલા દર્દીઓના મોંઢાનો સ્વાદ જતો રહેતો હોય છે. ત્યારે સામાન્ય રીતે જમવાનું ભાવતું હોતું નથી. પણ અહીંના સ્ટાફ દ્વારા કોઈપણ દર્દી ભુખ્યો ન રહે એનકેન પ્રકારે ખોરાક ગ્રહણ કરતો રહે તેવી નાનામાં નાની બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હળદરવાળું દૂધ, લીબું સરબત, ફ્રુટ, પૌષ્ટીક આહાર આપીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરી રહ્યા છે.” દર્દીઓની જીવન જ્યોતને સલામત રાખવા માટે દરેક આરોગ્ય કર્મી કંઈપણ કરી છુટવાની ભાવના સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સતત મોનીટરીંગની કરીને દર્દીઓ ત્વરીત સ્વસ્થ થઈને ઘર જઈ શકે તે માટે રાઉન્ડ ધી કલોક કામ કરી રહ્યા છે. ત્યારે આરોગ્ય કર્મીઓ પણ કહેતા હોય છે કે, વડીલોને સ્વસ્થ થતાં જોઈને અમને પણ વધુ કામ કરવાની પ્રેરણા મળે છે.



