દરેક ગામોમાં પૂરતી માળખાકીય સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે -આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકર
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગોવાડા ગામે રૂ. ૨૩૩ લાખના ખર્ચે નિર્માણ થનારા વિવિધ ૬ રસ્તાઓનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલા રસ્તાઓમાં દહેરી-ગોવાડા-ઝાંય ૨ કિમીનો સીસી રોડ રૂ.૧૦૦ લાખ, ગોવાડા કાંકરાડી મુખ્ય રસ્તાથી મહારાષ્ટ્ર ને જોડતો ૧ કી. મી.નો રોડ રૂ.૩૦ લાખ, ગોવાડા ગોદર ફળિયાથી મહારાષ્ટ્ર બોર્ડર સુધીનો ૨ કિમિ રોડ રૂ.૪૦ લાખ, ગોવાડા ગોદર ફળિયાથી મહારાષ્ટ્ર બોર્ડર સુધીનો ૧ કિમિ રોડ રૂ.૨૦ લાખ, ગોવાડા ગોદર ફળિયાથી જયેશભાઇ ના ઘર સુધીનો ૦.૫ કિમિ રોડ રૂ.૨૦ લાખ અને દહાડ વિલેજ રોડ ૧ કિમિ રૂ.૩૩ લાખનો સમાવેશ થાય છે.આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે રાજ્યનો સર્વાંગી વિકાસ એ સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવી વિકાસકાર્યોમાં સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ગામોમાં પૂરતી માળખાકીય સુવિધાઓ મળે, દરેક ફળિયાને જોડતા રસ્તાઓ પાકા બને તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્ય સરકારની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી પ્રત્યેક ગ્રામજનોને મળે, લોકો તેનો લાભ લઇ આગળ વધે આત્મનિર્ભર બને તે માટે ગામના સરપંચ સહિત અગ્રણીઓ જવાબદારી નિભાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. સારા અને ગુણવત્તાના કામો થાય તે માટે ગ્રામજનો જાગૃત બને તે જરૂરી છે. કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. વિજળી બિલ ભરવામાંથી મુક્તિ મળે તે હેતુસર ખેડૂતો અને ગ્રામજનોને ખેતી અને ઘર માટે સોલાર યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળ ખેડૂતલક્ષી સાત યોજનાઓ અમલી બનાવી છે, જેનો દરેક ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરમાં નળથી પીવાનું પાણી મળી રહે તે પ્રકારનું આયોજન છે. આ અવસરે ઉમરગામ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો, અને મકાન વિભાગના તેજસભાઈ, અગ્રણીઓ સર્વે મુકેશભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, રામદાસ વરઠા, દીલીપભાઈ ભંડારી, ઉમેશભાઈ, ગોવાડા અને દહેરી સહતિ આજુબાજુના ગામોના સરપંચ, ગ્રામજનો, હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમેશભાઈ સોલંકીએ કર્યું હતું.


