બાળકો શાળાએ આવવા જીદ કરે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે જ્ઞાન સાથે ગમ્મત દ્વારા શિક્ષણ આપીએ છીએ —શિક્ષકશ્રી રોહિતભાઇ પટેલ
ટ્રેન્ડ બદલાયોઃ બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ૩૦૦૦ જેટલાં બાળકો ખાનગી શાળામાંથી સરકારી પ્રા. શાળાઓમાં પ્રવેશ મેળવે છે
ભૂતકાળ બની ગયેલા બાળ ગીતો અને જ્ઞાન સાથે ગમ્મત એટલે બાળકોને ડાન્સ દ્વારા શિક્ષણ આપતાં શિક્ષકશ્રી રોહિતભાઇ પટેલ. કાંકરેજ તાલુકાની અરણીવાડા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રોહિતભાઇ પટેલનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તાજેતરમાં રાજ્યની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ દ્વારા અસ્મિતા સન્માન પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લાના બાલિસણાના વતની શ્રી રોહિતભાઇ ચંદુભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના અંતરીયાણ વિસ્તારની કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાને પોતાની કર્મભૂમિ બનાવી અનોખી રીતે શિક્ષણ કાર્ય કરી રહ્યાં છે. બાળકોને શાળાએ આવવાની મજા પડે, તેમને ભણતર ભારરૂપ ન લાગે તે માટે શ્રી રોહિતભાઇ પટેલ સવારની સમૂહ પ્રાર્થના અને વર્ગખંડમાં બાળ ગીતો પર ડાન્સ કરી બાળકોને શિક્ષણ આપે છે. તેઓ રસોઇકળામાં પણ પારંગત છે, કોઇપણ પ્રકારનો શરમ-સંકોચ રાખ્યા સિવાય તિથિ ભોજન આપવાનું હોય ત્યારે તેઓ જાતે રસોઇ બનાવી બાળકોને ખવડાવે છે. આ શાળામાં મોટા ભાગના શિક્ષકો યુવાન છે. આ યંગ ટીમ દ્વારા શાળામાં સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓ કરી વિધાર્થીઓનો શારીરિક વિકાસ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ રીતે બીજી સ્કુલના બાળકો પણ આ અભિનય ગીત દ્વારા કંઇક શીખે તે માટે તેમના સાથી શિક્ષકશ્રી અંકિતભાઇ પટેલે અભિનય ગીતનો વિડીયો બનાવી યુ-ટ્યુબ પર અપલોડ કર્યો અને જોતા જોતામાં ખુબ જ વાયરલ થયો.. પછી તો શ્રી રોહિતભાઇ શિક્ષણ જગતમાં ખ્યાતિ પામ્યા અને બાળકોના પ્રિય શિક્ષક બની ગયાં. જેની નોંધ લઇ એબીપી અસ્મિતા દ્વારા રાજ્યમાં નવ રત્નો પૈકીના શિક્ષક રત્ન શ્રી રોહિતભાઇ પટેલને અસ્મિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
શિક્ષકશ્રી રોહિતભાઇ પટેલે જણાવ્યું કે, હું છેલ્લા ૭ વર્ષથી અરણીવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. તેમણે કહ્યું કે, જ્યારે અમે પી.ટી.સી.માં અભ્યાસ કરતાં તે દરમ્યાન બાળ ગીત પર અભિનય કરતા એટલે મને વિચાર આવ્યો કે, આ અંતરીયાળ વિસ્તાર છે, આ વિસ્તારના બાળકો શાળામાં આવવા જીદ કરે, પ્રાર્થનામાં બાળકો સમયસર આવી જાય, બાળકો અભિનય ગીતમાં ભાગ લે, બાળકનો ડર ઓછો થાય, તે સ્ટેજ પર આવી પોતાની વક્તૃત્વ કળા ખિલવી શકે તે માટે અભિનય ગીત દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, લોક માનસમાં સરકારી શાળાની સારી છાપ ઉપસે તે માટે મારા જેવા હજારો શિક્ષકો દિલ રેડીને કામ કરે છે. તેમણે કહ્યું કે, આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. મહાન આચાર્ય ચાણક્ય એ પણ કહ્યું છે કે ‘‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પહલતે હૈ’’. શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે અને મારા આત્મસંતોષ માટે અભિનય ગીત વડે જ્ઞાન સાથે ગમ્મત દ્વારા શિક્ષણ આપીએ છીએ.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજય પરમારે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા ખુબ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે હાલમાં કોરોના મહામારીમાં શાળાઓ બંધ છે પરંતું શિક્ષણ કાર્ય નહીં. શિક્ષકો શેરી શિક્ષણ અને વર્ચ્યુઅલ માધ્યમથી બાળકોને શિક્ષણ આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, શાળાના સુંદર બિલ્ડીંગો, ઉચ્ચ મેરીટવાળા શિક્ષકો, કોમ્પ્યુટર લેબ, દિકરા-દિકરીઓ માટે અલગ શૌચાલય, મધ્યાહન ભોજન, શિષ્યવૃતિ વગેરે જેવી સરકારી શાળામાં સુવિધાઓ હોવાથી હવે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલાં બાળકો ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવે છે. જિલ્લામાં વર્ષ-૨૦૧૭-૧૮માં ૨૮૬૩ બાળકો, ૨૦૧૮-૧૯માં ૨૭૦૭, ૨૦૧૯-૨૦માં ૨૯૬૯, ૨૦૨૦-૨૧માં ૨૨૩૭ અને આ વર્ષ-૨૦૨૧-૨૨માં ૨૩૪૮ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને હજી પ્રવેશ મેળવવાનું ચાલું છે. શ્રી પરમારે કહ્યું કે, થરાદ તાલુકાની આનંદનગર સરકારી પ્રાથમિક શાળામાં આ વર્ષે ૭૫ જેટલાં બાળકોએ ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. મને વિશ્વાસ છે કે, હવે સરકારી શાળાઓનો જમાનો આવવાનો છે.



