પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબના શુભ અવસર પર જાહેરાત કરી છે કે આ વર્ષથી 26મી ડિસેમ્બરને શાહિબજાદા જોરાવર સિંહજી અને શાહિબજાદા ફતેહ સિંહજી ની શહાદત નિમિત્તે ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવામાં આવશે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;”આજે, શ્રી ગુરુ ગોવિંદ સિંઘજીના પ્રકાશ પરબના શુભ અવસર પર, મને એ જણાવતા સન્માન મળી રહ્યું છે કે આ વર્ષથી 26મી ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે ચિહ્નિત કરવામાં આવશે. આ શાહિબજાદા અને ન્યાય માટે તેમના પ્રયાસને અંજલિ સમાન બાબત હશે. ‘વીર બાલ દિવસ’ એ જ દિવસે છે જ્યારે શાહિબજાદા જોરાવર સિંહજી અને શાહિબજાદા ફતેહ સિંહજીને દિવાલમાં ચણી દેવાતા તેઓ શહીદ થયા હતા. આ બંને મહાનુભાવોએ ધર્મના ઉમદા સિદ્ધાંતોથી વિચલિત થવાને બદલે મૃત્યુને પ્રાધાન્ય આપ્યું. માતા ગુજરી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને 4 શાહિબજાદોની બહાદુરી અને આદર્શો લાખો લોકોને શક્તિ આપે છે. તેઓ ક્યારેય અન્યાય સામે ઝૂક્યા નથી. તેઓએ એવા વિશ્વની કલ્પના કરી હતી જે સર્વસમાવેશક અને સુમેળભર્યું હોય. વધુ લોકો તેમના વિશે જાણે એ સમયની જરૂરિયાત છે.”

