12 જાન્યુઆરીથી શરૂ થશે રાષ્ટ્રીય યુવા સપ્તાહ
રાજ્યભરના યુવાનો જોડાશે રાષ્ટ્રીય યુવા મહોત્સવ કાર્યક્રમ સાથે, યુવાનો સીધો સંવાદ કરશે પ્રધાનમંત્રી શ્રી સાથે
આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાતના રાજ્ય નિદેશક પવન કુમાર અમરાવતે (વધારાનો હવાલો) તમામ જિલ્લા યુવા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ સ્વામી વિવેકાનંદની જયંતીને ભવ્ય રીતે આયોજિત કરે. તેઓને નિર્દેશો આપ્યા છે કે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવતા આ દિવસે સ્વામી વિવેકાનંદની અમર વાણીથી વધુમાં વધુ યુવાનોને લાભાન્વિત કરાવવામાં આવે. આ દિવસે શરૂ થનારા 2 દિવસીય 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કર કમળોથી થવાનું છે.આ ઉદ્ઘાટન સમારંભમાં પણ વધુમાં વધુ યુવાઓને જોડવાનું કાર્ય કરીને તેઓને ટીવી, પ્રોજેક્ટર વગેરે અન્ય સંચાર માધ્યમોથી તેમના સંબોધનને સીધા યુવાઓને દર્શાવવાનું પણ જણાવાયું છે. જેથી દૂરના ગામે ગામ સુધીના યુવાનોને તેનો લાભ મળી શકે. શ્રી અમરાવતે કહ્યું કે આ હેતુ માટે પોતપોતાના જિલ્લામાં કાર્યરત સરકારી સંગઠન, રાષ્ટ્રીય સેવા યોજના, સ્કાઉટ, ખેલાડીઓ વગેરેને સહભાગી બનાવવામાં આવે. રાજ્ય નિદેશકે જિલ્લા યુવા અધિકારીઓને નિર્દેશ આપ્યા કે તેઓ યુવા સપ્તાહ 2022 અંતર્ગત 13 જાન્યુઆરીએ સાંસ્કૃતિક દિવસ તરીકે મનાવવા લોકનાટક, લોક ગીત, કઠપૂતળી પ્રદર્શન વગેરે જેવી પ્રવૃતિ કરી શકશે. આ જ રીતે 14 જાન્યુઆરીએ સહભાગિતા દિવસ તરીકે મનાવવા માટેની કામગીરીમાં સ્વતંત્રતા સંગ્રામમાં યુવાઓની ભૂમિકા, કોરોના કાળમાં યુવાનોની ભૂમિકા, મારા સપનાનું ભારત 2047 વિષયો સંબંધિત સેમીનાર, નિબંધ સ્પર્ધાઓ વગેરેનું પણ આયોજન કરી શકાશે. 15 જાન્યુઆરીએ સેવા દિવસ તરીકે મનાવાશે જેમાં રક્તદાન, રક્ત તપાસ, સ્વચ્છતા અભિયાન ચલાવવાના નિર્દેશ પણ આપ્યા છે. આ જ રીતે 16 જાન્યુઆરીએ શારીરિક ક્ષમતા દિવસ તરીકે તેમજ 17 જાન્યુઆરી યુવા શાંતિ દિવસ તરીકે મનાવાશે જેમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવા નિર્દેશો આપ્યા છે. આ ઉપરાંત 18 જાન્યુઆરીએ વ્યાવસાયિક કૌશલ્ય દિવસ તરીકે મનાવીને યુવાનોને વિવિધ સ્કીલની જાણકારી આપવા માટે પણ નિર્દેશો અપાયા છે.

