
: ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી :
રાજયના જરૂરિયાતમંદ લાભાર્થીઓને સાધન- સહાયનો આધાર આપીને આત્મનિર્ભર બનાવવાનો નક્કર પ્રયાસ આ સરકારે કર્યો છે
ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને નવું જીવન જીવવાની નવીન રાહ મળી રહી છે
છેલ્લા એક દાયકાથી ગરીબ કલ્યાણ મેળા થકી સાચા લાભાર્થીઓને લાભ આપવાનું ઉમદા કાર્ય સરકાર કરી રહી છે








રાજયના જરૂરિયાતમંદ લાભાર્થીઓને સાધન- સહાયનો આધાર આપીને આત્મનિર્ભર બનાવવાનો નક્કર પ્રયાસ આ સરકારે કર્યો છે. છેલ્લા એક દાયકાથી ગરીબ કલ્યાણ મેળા થકી સાચા લાભાર્થીઓને લાભ આપવાનું ઉમદા કાર્ય સરકાર કરી રહી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું. ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા કે, ’ સમાજના છેવાડાના માણસની ચિંતા કરવી સામાજિક અને સામુદાયિક જવાબદારી બની રહેવી જોઇએ. સમાજના પછાત રહી ગયેલા વર્ગને સાથે લઇને ચાલવું એ જ માનવ્યનો સ્વીકાર. ગાંધીજીના આ વિચારને સાર્થક કરવા અને સર્વાંગી વિકાસની આશા ફળીભૂત કરવાના ઉમદા આશયથી રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી અને દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ વર્ષ- ૨૦૦૯- ૧૦ થી કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ર્ડા. બાબાસાહેબ આંબેડકર કહ્યું છે કે ’ જો આપણ સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું હશે, તો સમાજના દરેક સ્તરના લોકોનો સાથ અનિવાર્ય છે. આપણા જ સમાજના દલિત, પછાત, વંચિત રહી ગયેલા ભાઇ-ભાંડુઓને આપણે જ પીઠબળ પુરું પાડવું રહ્યું. રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સરખી અને સામૂહિક ભાગીદારી વિના ઉચ્ચ ધ્યેયો હાંસલ કરવાનું શક્ય નથી. ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને નવું જીવન જીવવાની નવીન રાહ મળી રહી છે. તેઓ પગભર બની સન્માનભેર સમાજમાં જીવી રહ્યા છે. યોજનાઓ વિવિધ લક્ષી છે, તેવું કહી ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ કહ્યું હતું કે, તેને અસરકારક રીતે છેવાડાના પરિવારો સુધી પહોંચાડવા માટે અને સાચા લાભાર્થીઓને તેનો લાભ મળે તેવા આશયથી ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યા છે. આજે ગાંધીનગર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા થકી ૧૦૧૨ જેટલા ભાર્થીઓને રૂપિયા ૫ કરોડ જેટલી સાધન- સહાયનું વિતરણ હાથોહાથ કરવામાં આવી છે.

આજે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં વિદેશ અભ્યાસ લોનના -૩, પી.એમ.જે.એ.વાય- એમ.એ. યોજનાના ૫૨, યુનિક ડીસેબલ આઇ.ડી કાર્ડ- ૧૦, મિશન મંગલમ સ્વ સહાય જૂથને રીવોલ્વીંગ ફંડની ૬૪, માનવ ગરીમા યોજના ૩૩, માનવ કલ્યાણ યોજનાના ૩૬૬, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ૨૧૫, સરસ્વતી સાધના યોજનાના ૫૨, કુંવરબાઇ મામેરા યોજનાના ૩૫, પાલક માતા- પિતા યોજનાના ૨, આંબેડકર આવસ સહાય યોજનાના ૪ એમ સરકારની વિવિધ સહાય યોજના થકી જિલ્લાના ૧૦૧૨ જેટલા લાભાર્થીઓને સાધન- સહાયનું વિતરણ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓ દ્વારા તેમના મુખે સહાય મેળવ્યા બાદ જીવનમાં આવેલા બદલાવ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. મોરબી ખાતે રાજયના મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ ગાંધીનગર ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત સર્વે લોકોએ નિહાળ્યું હતું.
આ સમારંભમાં ગાંધીનગર (દ) ના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, દહેગામના ઘારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઘવલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયૂર ચાવડા, નિવાસી અધિક કલેકટર શ્રી રીતુ સિંગ સહિત લાભાર્થીઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
