






વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યની અધ્યક્ષતા હેઠળ જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ
રિપોર્ટ -અજય ખત્રી -કચ્છ
કલેકટર કચેરી ભુજ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્યની અધ્યક્ષતા હેઠળ જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ હતી.પ્રજા અને પશુઓ માટે પીવાના પાણીની સમીક્ષા બાબતની બેઠકમાં અધ્યક્ષશ્રીએ સંબધિત સર્વને જિલ્લાની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને ગરમીના દિવસોમાં લોકોને પૂરતુ અને વ્યવસ્થિત પાણી મળે તે માટે સક્રિય રહેવા જણાવ્યું હતું. નાગરિકો અને પશુધન માટે પીવાના પાણી માટે ટેન્કરો મારફતે અપાતા પાણીમાં સુચારૂ અને સમયસર પહોંચવાડાના આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લામાં કુલ ૪૭૬.૮૧ MLD પાણીની જરૂરિયાત પૈકી ઔદ્યોગિક અને પશુઓની તેમજ ગ્રામ્ય અને શહેરી જરૂરિયાત બાબતે અધ્યક્ષશ્રીએ વિગતે માહિતી મેળવી જૂથ યોજના, વ્યક્તિગત યોજના અંગે જરૂરી સુચનો આપ્યાં હતાં.ટેન્કરથી પાણી પુરવઠા વિતરણ મેળવતાં ૧૮ ગામો પૈકી રાપર, ભુજ, અબડાસા, લખપત, ભચાઉના ગામોને સમસ્યાને નિવારણ બાબતે કરવાની થતી અમલવારી બાબતે પણ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે અને સંબંધિતો સાથે ચર્ચા કરવામાં આવી હતી.અધ્યક્ષાશ્રીએ ગજણસર ડેમ, રુદ્રમાતા ડેમ, કંકાવટી ડેમ સહિત અન્ય ડેમોની સ્થિતિ જાણી જરૂરી સુચનો અને અમલવારીની વહિવટી પ્રક્રિયા કરવા અનુરોધ કર્યો હતો તેમજ બાંડી ડેમને સુજલામ સુફલામ અભિયાન હેઠળ બાવળિયા મુક્ત કરી સ્વસ્છ કરવા જણાવ્યું હતું.આ તકે વ્યક્તિગત યોજનાઓ પૈકી રૂ. ૪૩૨ લાખના ખર્ચે કુલ ૩૮ બોર અને જુથ યોજના હેઠળ રૂ.૯૨૦ લાખના ખર્ચે ૬૪ બોરની શાખાની વિગતો બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લા પાણી સમિતિના કાર્યપાલકશ્રી આનંદ પ્રકાશ તિવારી દ્વારા રજુ કરાયેલ વિગતો પૈકી આયોજન હેઠળની કુલ રૂ ૬૫૨.૭૮ કરોડની ૩૧ યોજનાઓ પૈકી ૩ યોજના પુર્ણ અને રૂ.૨૬૩.૯૫ કરોડની પ્રગતિ હેઠળની ૯ યોજના બાબતે સમીક્ષા કરાઈ હતી.આ તકે અધ્યક્ષશ્રીએ બન્ની, લખપત સહિત અન્ય વિસ્તારોમાં પશુઓ માટે હવાડાઓ પાણીથી ભરેલા રાખવા સૂચન કર્યું હતું. પાણી અને વીજળીની સમસ્યાની કોઈ ફરિયાદ ના ઊઠે અને સમસ્યા હોય ત્યાં તત્કાલ નિરાકરણ કરવા સૌને સૂચન કરાયુ હતું.તેમજ પાણી અને વિજળી માટે મંજુરીની ફાઈલોને અંગત રસ લઇ તાત્કાલિક વહિવટી પ્રક્રિયાથી નિકાલ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસરો અને પ્રાંત અધિકારીશ્રીઓની સાથે પણ ચર્ચા કરાઈ હતી. કલેકટરશ્રી પ્રવિણા ડી.કેએ આ તકે હવાડાઓ પાણીથી ભરેલા રાખવા સૂચન કર્યું હતું જેના પગલે જિલ્લામાંથી સૌનું સ્થળાંતર થતું અટકે.કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમીક્ષા અર્થે યોજાયેલી આ બેઠકમાં પાણીની સ્થિતિ, પીવાના પાણીના ઉપયોગ માટે લેવાતા જળાશયની ચર્ચા, નવા શારવાના થતાં પાતાળ કૂવાઓ, પાઈપલાઈન નેટવર્ક મોનિટરિંગ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર શ્રી હનુમંત જાડેજા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરગ ચાપલોત, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી ડો. મેહુલ બરાસરા, મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી પરેશ.ટી.પ્રજાપતિ, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી સંજય ચૌધરી, ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા માંડવી, ભુજ, ગાંધીધામ, રાપર તેમજ મુખ્ય એન્જિનિયરશ્રી પી.એમ.નાગર, કાર્યપાલક ઈજનેરશ્રી સર્વશ્રી ડી.જી રામાનુજ, જે.એમ. કટારા, જે.પી માંડલિયા, એન.વી.પટેલ, વી.એસ.ગઢવી, એ.ડી.પરમાર,વાસ્મો મેનેજરશ્રી કે.જે. વાઘેલા, તેમજ સબંધિત અધિકારીઓ સર્વશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.
